મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રીનું મોટું નિવેદન – રાજ્યમાં જલ્દી લોકડાઉન આવશે, તેની તૈયારીઓ શરુ છે

મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રીનું મોટું નિવેદન – રાજ્યમાં જલ્દી લોકડાઉન આવશે, તેની તૈયારીઓ શરુ છે

મુંબઇ, તા. 12 એપ્રિલ 2021, સોમવાર

કરોના વાયરસના વધી રહા પ્રકોપ વચ્ચે મહારાષ્ટ્રમાં લોકડાઉન મંડરાઇ રહ્યું છે. આ બધા વચ્ચે મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ પત્રકારોને માહિતિ આપી છે કે મહારાષ્ટ્રમાં કોરોના મહામારીને જોતા જલ્દી લોકડાઉન લગાવવામાં આવશે અને અત્યારે તેની તૈયારીઓ શરુ છે. લોકડાઉન અંગેનો અંતિમ નિર્ણય મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે લેશે.

રાજેશ ટોપેએ આગળ કહ્યું કે લોકડાઉનમાં ગરીબોને હેરાનગતિ ના થાય તે માટેના ઉપાય સરકાર કરી રહી છે. સાથે જ તેમણે કહ્યું કે 10 અને 12મા ધોરણની પરીક્ષાઓ પણ હાલ મોકુફ રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે ઉદ્ધવ ઠાકરે છેલ્લા ઘણા દિવસોથી કહી રહ્યા છે કે મહારાષ્ટ્રમાં સ્થિતિ ઘણી ખરાબ છે અને લોકડાઉન સિવાય કોઇ ઉપાય દેખાતો નથી.

તો બીજી તરફ લોકડાઉન પર મહારાષ્ટ્રમાં રાજકિય ઘમાસાણ ચાલી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી સહિત અન્ય પાર્ટીઓ લોકડાઉનનો વિરોધ કરી રહી છે. નિવેદનબાજી ચાલી રહી છે અને આ બધા વચ્ચે મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે તેનો જવાબ આપ્યો છે. 

નવાબ મલિકે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે દેશભરમાં લોકડાઉન લગાવ્યું, ત્યારે તેમણે કોઇની સલાહ નહોતી લીધી અને ના તો તેમણે કોઇના ખાતામાં પૈસા મોકલ્યા. જેથી ભાજપને આવા સવાલ કરવાનો અધિકાર નથી. રાજનીતિ માટે આવી માંગ કરવી ઉચિત નથી.

Share: