કાળમુખો કોરોના : ગુજરાતમાં આજે કોરોના કેસનો આંકડો 6000ને પાર, આજે વધુ 55 લોકોનો ભોગ લેવાયો

કાળમુખો કોરોના : ગુજરાતમાં આજે કોરોના કેસનો આંકડો 6000ને પાર, આજે વધુ 55 લોકોનો ભોગ લેવાયો

અમદાવાદ, તા. 12 એપ્રિ 2021, સોમવાર

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ભયાનક થઇ રહી છે. ત્યારે આજે કોરોનાના નવા કેસોએ 6000નો આંકડો વટાવી દીધો છે. દિવસેને દિવસે રાજ્યમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકની અંદર રાજ્યમાં રેકોર્ડબ્રેક 6021 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે આજે કાળમુખો કોરોના વધુ 55 લોકોને ભરખી ગયો છે. રાજ્યમાં સુરત અને અમદાવાદની સ્થિતિ પણ ભયાનક થતી જાય છે. 

અમદાવાદની અંદર પણ કોરોનાએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. આજે અમદાવાદમાં નવા 1933 કેસ નોંધાયા છે. આ સિવાય સુરતમાં 1469, રાજકોટમાં 576 અને વડોદરામાં 381 કેસો નોંધાતા લોકો અને પ્રશાસનની ચિંતામાં વ્યાપી છે. આ શહેરોમાં થયોલા મોતની વાત કરીએ તો અમદાવાદમાં 20, સુરતમાં 18, વડોદરામાં 7, રાજકોટમાં 4, રાજકોટ જિલ્લામાં 2, ભરૂચ, બોટાદ, સાબરકાંઠા અને સુરત જિલ્લામાં 1-1 લોકોનું કોરોનાના કારણે મોત થયું છે.

જેની સાથે જ રાજ્યમાં કોરોનાના કારણે કુલ મૃત્યુઆંક 4855 પર પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે રાજ્યમાં રેકોર્ડબ્રેક કોરોના કેસની સાથે મોતનો આંકડો પણ દરરોજ રેકોર્ડ બનાવી રહ્યો છે. આજે રાજ્યમાં 24 કલાકમાં 2854 દર્દીઓ સાજા થયા છે તો આજ દિન સુધીમાં કુલ 3 લાખ 17 હજાર 981 દર્દીઓ કોરોનામુક્ત બન્યા છે.

રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યા 30 હજાર 680 એ પહોંચી છે. જ્યારે 216 દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેઓને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યાં છે. 30 હજાર 464 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે. 

Share: