સમજદારી : ગુજરાતમાં આગામી એક મહિના સુધી શનિ-રવિ પાનના ગલ્લા બંધ રહેશે, શોપ ઓન. એસોસિએશનનો નિર્ણય

સમજદારી : ગુજરાતમાં આગામી એક મહિના સુધી શનિ-રવિ પાનના ગલ્લા બંધ રહેશે, શોપ ઓન. એસોસિએશનનો નિર્ણય

અમદાવાદ, તા. 8 એપ્રિલ 2021, શુક્રવાર

રાજ્યમાં હાલમાં કોરોના વાયરસની જે ભયાવહ સ્થિતિ થઇ છે તે ખરેખર ચિંતાજનક છે. રાજ્યના મહાનગરોની અંદર તો કોરોના બેકાબૂ થયો છે, પરંતુ હવે તો ગામડાઓમાં પણ કોરોનાનો વ્યાપ વધ્યો છે. કોરોનાને રોકવા માટે કેટલાક ગામડાઓ અને શહેરોના વિસ્તારોએ સમજદારી દાખવીને સ્વયંભૂ લોકડાઉન લગાવ્યું છે. તેવામાં ગુજરાત રાજ્યના પાન-મસાલા શોપ ઓવનર્સ એસોસિએશન દ્વારા એક આવકારદાયક અને સમજદારીપૂર્વકનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પાન મસાલા શોપ ઓનર્સ એસોસિયેશનને નિર્ણય લીધો છે કે આગામી એક મહિના સુધી શનિ-રવિ દરમિયાન રાજ્યભરના તમામ પાન મસાલાની દુકાનો બંધ રાખવામાં આવશે. પાન મસાલા શોપ ઓન. એસોસિએશન દ્વારા રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં એસોસિએશનના પ્રમુખે જણાવ્યું છે કે લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને આગામી એક મહિના સુધી રાજ્યના તમામ પાન-મસાલાના ગલ્લા માલિકો દ્વારા શનિ-રવિ સ્વયંભુ લોકડાઉન પાળવામાં આવશે.

તો બીજી તરફ, રાજકોટમાં પણ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. જેથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રાજકોટમાં શનિવાર અને રવિવાર એમ બે દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરી છે. ચેમ્બર ઓફ કોમર્સના આ સ્વૈચ્છિક લોકડાઉનના નિર્ણયમાં 28 થી 30 એસોસિએશન જોડવાના છે. જેમાં રાજકોટના પાનના ગલ્લા ધરાવતા વેપારીઓનું પણ એસોસિએશન જોડાશે.

Share: