ગુજરાતમાં કોરોનાનો હાહાકાર : 24 કલાકમાં ઓલટાઇમ હાઇ 3280 કેસ, 17 લોકોના મોત

ગુજરાતમાં કોરોનાનો હાહાકાર : 24 કલાકમાં ઓલટાઇમ હાઇ 3280 કેસ, 17 લોકોના મોત

અમદાવાદ, તા. 6 એપ્રિલ 2021, મંગળવાર

રાજ્યમાં કોરોના વાયરસની બીજી લહેર હાહાકાર મચાવી રહી છે. ગયા વર્ષ કરતા પણ આ વર્ષે કોરોના કેસોની સંખ્યા અને મોતનો આંકડો રેકોર્ડબ્રેક સ્તરે પહોંચ્યો છે. ત્યારે ગત 24 કલાકની અંદર અત્યાર સુધીમાં સૌથી વધારે કેસ સામે આવ્યા છે. રાજ્યમાં આજે 3280 કેસ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ કાલે રાજ્યમાં કેસનો આંકડો 3000 કરતા વધારે હતો. 

કોરોનાના કારણે થયેલા મોતની વાત કરીએ તો આજે રાજ્યમાં કુલ 17 મોત થયા છે. અમદાવાદ અને સુરતની અંદર 7-7 મોત થયા છે. જ્યારે રાજકોટમાં 2 અને વડોદરામાં 1 વ્યક્તિનું કોરોનાના કારણે મોત થયું છે. લગભગ ચાર મહિના બાદ યપરી વખત રાજ્યમાં મોતની સંખ્યા 17 થઇ છે. જેની સાથએ જ રાજ્યમાં કોરોનાના કારણે કુલ મૃત્યુઆંક 4591 થયો છે.

ઉલ્લેખનીય છે કે આજે જ હાઇકોર્ટે ગુજરાત સરકારને 3થી 4 દિવસના લોકડાઉન કરવાની સલાહ આપી છે. જે અંગે આજે નિર્ણય થવાનો છે. જ્યારે આ અંગે વિજય રુપાણીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક પણ યોજી છે. તો બીજી તરફ કોરોનાનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે. 

બીજી બાજુ આજે 2167 દર્દીઓ સાજા થયા છે. એટલે કે, અત્યાર સુધીમાં કુલ 3,02,932 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યાં છે. જ્યારે રાજ્યનો રિકવરી રેટ 93.24 ટકાએ પહોંચ્યો છે. આ સિવાય સરકારે જે આંકડાઓ આપ્યા છે તે પ્રમાણે આજે કુલ 3,12,688 વ્યક્તિઓનું રસીકરણ કરાવામાં આવ્યા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 17348 એક્ટિવ કેસ છે, જેમાંથી 171 દર્દી વેન્ટિલેટર પર છે.

Share: