બંગાળમાં ભાજપ 200 કરતા વધારે બેઠકો જીતશે, ચૂંટણી સભામાં પીએમ મોદીની આગાહી

બંગાળમાં ભાજપ 200 કરતા વધારે બેઠકો જીતશે, ચૂંટણી સભામાં પીએમ મોદીની આગાહી

કોલકાતા, તા. 1 એપ્રિલ 2021, ગુરૂવાર

પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા મતદાન વચ્ચે આજે પીએમ મોદીએ એક ચૂંટણી સભાને સંબોધન કરીને દાવો કર્યો હતો કે, બંગાળમાં ભાજપ 200 કરતા વધારે બેઠકો જીતશે.

આજે એક ચૂંટણી રેલીને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યુ હતુ કે, પહેલા તબક્કામાં થયેલા મતદાનમાં લોકોએ ભાજપને ભારે સમર્થન આપ્યુ છે. કેટલાક સપ્તાહ પહેલા બંગાળના લોકો કહેતા હતા કે આ વખતે ભાજપ 200 કરતા વધારે બેઠકો મેળવશે અને જે રીતે પહેલા તબક્કામાં વોટિંગ થયુ છે તે જોતા સ્પષ્ટ છે કે, જનતાની લાગણીને ઈશ્વરના પણ આશીર્વાદ મળી ગયા છે. બંગાળમાં આ વખતે ભાજપની જીતનો આંકડો 200ને વટાવી જશે.

પીએમ મોદીએ આગળ કહ્યુ હતુ કે, આજે બીજા તબક્કાની ચૂંટણીમાં પણ મોટી સંખ્યામાં મતદારો મતદાન કરી રહ્યા છે. જે ભાજપની લહેર હોવા તરફ ઈશારો કરે છે. ધમકી અને ગાળોની ભાષામાં વાત કરનાર દીદી કહે છે કે, કૂલ કૂલ રહો. પણ મારુ કહેવુ છે કે, તૃણલુક કોંગ્રેસ બંગાળના લોકો માટે કુલ નહીં પણ એક શૂળ (કાંટા) સમાન છે. જે લોકોને અસહ્ય પીડા આપી રહી છે.બંગાળને ટીએમસીએ રક્તરંજિત કર્યુ છે. બંગાળ સાથે ટીએમસીએ અન્યાય કર્યો છે.

તેમણે કહ્યુ હતુ કે, કેટલાક સમયથી મમતા દીદીએ જે નિર્ણયો લીધા છે તે બંગાળની જનતાના ઓપિનિયન પોલ અને એક્ઝિટ પોલમાં ફેરવાઈ ગયા છે. મમતા બેનરજીની કાર્યવાહીથી બધુ સ્પષ્ટ નજરે પડતુ થઈ ગયુ છે.

Share: