મહારાષ્ટ્રમાં કોરોના વાયરસે ચિંતા વધારી, 91 હજારમાંથી 74 હજાર લોકોમાં એકપણ લક્ષણ નથી

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસે ચિંતા વધારી, 91 હજારમાંથી 74 હજાર લોકોમાં એકપણ લક્ષણ નથી

મુંબઇ, તા. 31 માર્ચ 2021, બુધવાર

દેશની અંદર કોરોના વાયરસની બીજી લહેરનું એપીસેન્ટર મહારાષ્ટ્ર બની રહ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી મહારાષ્ટ્રની અંદર 30 હજાર કરતા વધારે કેસ સામે આવી રહ્યા છે. આ બધા વચ્ચે બીએમસીના કમિશ્નર ઇકબાલ સિંહ ચહલે નિવેદન આપ્યું છે કે મુંબઇમાં કોરોના વાયરસની બીજી લહેર શરુ થઇ ગઇ છે. મુંબઇમાં માત્ર 49 દિવસમાં 91 હજાર કેસ આવ્યા છે. 

બીએમસી કમિશ્નરના જણાવ્યા પ્રમાણે મુંબઇમાં અત્યારે કોરોના વાયરસના 74 હજાર કરતા વધારે કેસ એવા છે કે જેમને કોઇ લક્ષણો નથી. એટલે કે હવે ચિંતામાં વધારો થઇ રહ્યો છે કારણ કે કોરોના હવે સાઇલેન્ટ કિલર તરીકે ઉભરી રહ્યો છે. જે હવે કોઇ પણ લક્ષણો વગર જ લોકોને ઝપેટમાં લઇ રહ્યો છે.

જો મુંબઇની વાત કરીએ તો મુંબઇમાં 17 હજાર લોકોની અંદર કોરોના વાયરસના લક્ષણો દેખાય છે અને અડધા કરતા વધારે લોકોમાં કોરોનાના એક પણ લક્ષણ દેખાયા નથી. આ તમામ લોકો એવા છે કે જેમની અંદર વાયરસનો એકપણ લક્ષણ ના હોવા છતા તેઓ કોરોના પોઝિટિવ છે. આવા લોકો વિશ બીએમસી કમિશ્નરે કહ્યું કે તે તમામ લોકોને સ્ટેમ્પ લગાવવામાં આવશે.

જો આવા સ્ટેમ્પવાળા લોકો જાહેર સ્થાનો પર જોવા મળશે તો તેમના પર કાયદાકિય કાર્યવાહી કરવામાં આવશે. આવા લોકોની ધરપકડ પણ કરવામાં આવશે. બીએમસી કમિશ્નરના જણાવ્યા પ્રમાણે મુંબઇની અંદર 9900 હોસ્પિટલ બેડ્સ ભરાઇ ગયા છે. જ્યારે 4000 બેડ્સની સુવિધા ઓનલાઇન કરવામાં આવી છે. સરકાર લોકડાઉન નથી ઇચ્છતી, જો લોકો કોરોના ગાઇડલાઇનનું પાલન કરશે તો કોરોના કાબૂમાં આવી શકે છે.

Share: