એંટીલિયા કેસ : મુંબઇ પોલીસ અધિકારી સચિન વાઝેને 25 માર્ચ સુધી NIAની કસ્ટડીમાં મોકલાયા

એંટીલિયા કેસ : મુંબઇ પોલીસ અધિકારી સચિન વાઝેને 25 માર્ચ સુધી NIAની કસ્ટડીમાં મોકલાયા

નવી દિલ્હી, તા. 14 માર્ચ 2021, રવિવાર

દેશના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના મુંબઇ સ્થિત ઘર નજીક વિસ્ફોટકો ભરેલી કાર મળ્યા બાદ તેની તપાસમાં મુંબઇ પોલીસના અધિકારીનું નામ સામે આવતા મહારાષ્ટ્રમાં રાજકિય ગરમાવો વધ્યો છે. આ પોલીસ અધિકારીનું નામ સચિન વાઝે છે. ત્યારે આ એન્ટીલિયા કેસમાં સચિન વાઝેને એનઆઇએ દ્વારા મુંબઇની એક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે તેમને 25 માર્ચ સુધી એનઆઇએની કસ્ટડીમાં મોકલ્યા છે. 

એક અધિકારીએ જણાવ્યું કે સચિન વાઝેને એક સ્થાનિક હોસ્પિટલમાં હેલ્થ ચેકઅપ બાદ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે શનિવારે રાત્રે અનિલ વાઝેની ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર આરોપ છે કે મુકેશ અંબાણીના ઘરની બહાર જે વિસ્ફોટકો ભરેલી કાર મળી છે તેમાં તેઓ સંડોવાયેલા છે.

એનઆઇએ દ્વારા કોર્ટ સમક્ષ 14 દિવસની કસ્ટડી માંગવામાં આવી હતી. એનઆઇએ દ્વારા કોર્ટમાં કહેવામાં આવ્યું કે આ એક મોટું ષડયંત્ર છે અને તેની અંદર અનેક લોકો પણ સામેલ હોવાની આશંકા છે. એનઆઇએ સચતિન વાઝેનો તે દરેક વ્યક્તિ સાથે આમનો સામનો કરાવવા માંગે છે જેમનું નામ આ કેસમાં સામે આવી રહ્યું છે. એનઆઇએ દ્વારા કોર્ટ સમક્ષ ઘણા મહત્વના પુરાવા રજી કર્યા છે.

Share: