દક્ષિણમાં અમિત શાહે શરૂ કર્યું ચૂંટણી અભિયાન, કહ્યું- ભ્રષ્ટાચાર, રાજકિય હિંસાની ભૂમિ બની કેરળ

દક્ષિણમાં અમિત શાહે શરૂ કર્યું ચૂંટણી અભિયાન, કહ્યું- ભ્રષ્ટાચાર, રાજકિય હિંસાની ભૂમિ બની કેરળ

નવી દિલ્હી, તા. 07 માર્ચ 2021, રવિવાર

દક્ષિણ ભારતના રાજ્યો કેરળ અને તમિલનાડુમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. એવામાં ગૃહમંત્રી અમિત શાહે તમિલનાડુના કન્યાકુમારીમાં આજે એક રોડ શો કર્યો. તે બાદ તેઓ કેરળ પહોંચ્યા જ્યાં ત્રિવેંદ્રમમાં આયોજીત એક ચૂંટણી રેલીમાં સામેલ થયાં.

તેમણે કહ્યું, ભાજપનો ચૂંટણી પ્રચારનો નારો હશે- મોદી સાથે નવું કેરળ. શાહે તિરુવનંતપુરમમાં શ્રી રામાકૃષ્ણા આશ્રમની પણ મુલાકાત કરી. એ દરમિયાન શાહે આશ્રમના સંતો સાથે મુલાકાત કરી. તે બાદ ગૃહમંત્રી અમિત શાહે ત્રિવેંદ્રમની રેલીમાં સામેલ થયાં. આ દરમિયાન મંચ પર મેટ્રો મેન ઈ શ્રીધરન સહિત કેરળ ભાજપના અનેક મોટા નેતાઓ હાજર રહ્યાં.

તિરુવનંતપુરમમાં ભાજપની કેરળ વિજય યાત્રા પર અમિત શાહે કહ્યું કે, આજે આપણ ચૂંટણી અભિયાન શરૂ કરી રહ્યાં છીએ. આ ભગવાન પદ્મનાભની ભૂમિ છે. અહીં આવીને ઘણો ખુશ છું. પરંતુ હવે આ ભૂમિ ભ્રષ્ટાચાર, રાજકિય હિંસાની ભૂમિ બની ગઈ છે.

ભાજપની કેરળ વિજય યાત્રાને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું કે, કેરળમાં અમારી વિજય યાત્રાએ લગભગ 950 કિમીનું સફર પૂર્ણ કર્યું. આ યાત્રામા  65 રેલીઓ અને અનેક પ્રોગ્રામો યોજવામાં આવ્યા.

તેમણે કહ્યું, શ્રીધરને દેશમાં પહેલી મેટ્રોના નિર્માણ માટે મેટ્રો મેન કહેવામાં આવે છે. પરંતુ સૌથી મહત્વનું કાર્ય કોંકણ રેલવે પ્રોજેક્ટ હતો જે એન્જિનિયરિંગની દ્રષ્ટિએ ખુબ સાહસિક કામ હતું. આ ઉમરમાં પણ ઈ શ્રીધરનજીને જોયા બાદ મને તેમને સલામ કરવાનું મન થાય છે.

અમિત શાહે વધુમાં કહ્યું કે, એક સમયે કેરળ વિકાસ, પર્યટન, સાક્ષરતામાં સૌથી આગળ હતું પરંતુ હવે LDF અને UDFની સાથે અહીં ભ્રષ્ટાચાર અને હિંસાની બોલબાલા થઈ ગઈ છે. LDF અને UDF વચ્ચે ભ્રષ્ટાચારની તંદુરસ્ત પ્રતિસ્પર્ધા છે. જ્યારે UDF સત્તામાં આવે છે તો સૌર ગોટાળો થાય છે અને જ્યારે LDF સત્તામાં આવે છે તો ડોલર અને સોનાની તસ્કરી થાય છે.

Share: