24 કલાકમાં કોરોનાના નવા 1.32 લાખ કેસ, વધુ 3207ના મોત

24 કલાકમાં કોરોનાના નવા 1.32 લાખ કેસ, વધુ 3207ના મોત


– કોરોનાના કુલ 2.83 કરોડ કેસ, 2.61 કરોડ સાજા થયા

– એક્ટિવ કેસો ઘટીને 18 લાખની નીચે પહોંચ્યા, બીજી લહેર હવે સ્થિર, સ્થિતિ કાબુમાં આવવાની કેન્દ્રને આશા

– બીજી લહેરમાં 594 ડોક્ટરોના કોરોનાથી મોત, મધ્ય પ્રદેશમાં કોરોનાથી 850 શિક્ષકોના મોત અને છ હજારને સંક્રમણ

– વિદેશમાં મંજૂરી મળી ગઇ હોય તેવી વિદેશી રસીને ભારતમાં પરીક્ષણની જરુર નહીં રહે, નિયમોમાં સુધારો 

નવી દિલ્હી : કોરોના વાઇરસના દૈનિક કેસો હવે દોઢ લાખની નીચે જતા રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧.૩૨ લાખ કેસો સામે આવ્યા હતા. જે સાથે જ કોરોનાના કુલ કેસોનો આંકડો ૨.૮૩ કરોડને પાર પહોંચી ગયો છે અને પોઝિટિવિટી રેટ ઘટીને ૬.૫૭ ટકા રહ્યો હતો. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને કારણે ૩૨૦૭ લોકોના મોત નિપજ્યા છે. 

કોરોનાને કારણે અત્યાર સુધીમાં ૩.૩૫ લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે. એક્ટિવ કેસો સતત બીજા દિવસે ૨૦ લાખની અંદર રહ્યા છે અને માત્ર ૧૭ લાખની આસપાસ રહ્યા છે જે કુલ કેસોના ૬.૩૪ ટકા છે. સતત ૨૦માં દિવસે સાજા થયેલાની સંખ્યા વધી રહી છે અને અત્યાર સુધીમાં ૨.૬૧ કરોડ લોકોએ કોરોનાને હરાવ્યો છે. બીજી તરફ કેન્દ્ર સરકારે કહ્યું છે કે રાજ્યો પાસે હજુ પણ કોરોનાની રસીના ૧.૬૪ કરોડ ડોઝ ઉપલબ્ધ છે. એવામાં કેન્દ્ર સરકારે હવે વિદેશથી રસીની આયાત માટે નિયમોને વધુ હળવા કર્યા છે. 

ભારતીય ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (ડીસીજીઆઇ)એ વિદેશી રસીના ભારતમાં પરીક્ષણને હટાવી દીધુ છે. આ રસીઓનું અગાઉ વિદેશમાં પરીક્ષણ થઇ ગયું હોવાથી ભારતમાં તેના પરીક્ષણની એટલી જરુર નહીં રહે. જે રસીને યુએસ એફડીએ, ઇએમએ, યુકે એમએચઆરએ, પીએમડીએ જાપાન કે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા મંજૂરી આપી દેવામાં આવી હોય તેને ભારતમાં મંજૂરીની જરુર નહીં રહે. કોરોનાની પહેલી અને બીજી લહેરમાં ડોક્ટરોના પણ મોત નિપજ્યા છે. 

કેન્દ્ર સરકાર દ્વારા જારી આંકડા અનુસાર કોરોનાની બીજી લહેરમાં ૫૯૪ ડોક્ટરોના કોરોનાને કારણે મોત નિપજ્યા છે. પહેલી લહેરમાં કુલ ૭૪૮ ડોક્ટરોએ જીવ ગુમાવ્યો હતો જ્યારે બીજી લહેરમાં આ આંકડો ૬૦૦ નજીક પહોંચી ગયો છે. જ્યારે મધ્ય પ્રદેશમાં કોરોનાને કારણે ૮૫૦ શિક્ષકોના મોત નિપજ્યા છે અને ૬૦૦૦થી વધુ શિક્ષકોને કોરોના થયો છે. દરમિયાન કેન્દ્ર સરકારે દાવો કર્યો છે કે કોરોનાની બીજી લહેર તેની જે ભયજનક સપાટી છે તેને પાર કરી પરત સ્થિરતા પર આવી ગઇ છે. દેશના ૩૫૦થી વધુ જિલ્લામાં કોરોનાનો પાંચ ટકાથી નીચે પોઝિટિવિટી રેટ રહ્યો છે.

Share: