18 વર્ષથી વધુ વયના લોકોનુ રસીકરણ કરવાનો આ ચાર રાજ્યોએ કર્યો ઈનકાર, આપ્યુ આવુ કારણ

18 વર્ષથી વધુ વયના લોકોનુ રસીકરણ કરવાનો આ ચાર રાજ્યોએ કર્યો ઈનકાર, આપ્યુ આવુ કારણ

નવી દિલ્હી,તા.26.એપ્રિલ,2021

અઢાર વર્ષથી વધારે વયના લોકોના રસીકરણ અભિયાનનો એક મેથી પ્રારંભ થવાનો છે પણ દેશના ચાર રાજ્યોએ અત્યારથી જ આ અભિયાન શરુ થઈ શકે તેમ નહીં હોવાનુ જણાવી દીધુ છે.

આ ચારે રાજ્યો કોંગ્રેસ શાસિત રાજ્યો છે.રાજસ્થાન, પંજાબ, છત્તીસગઢ અને ઝારખંડનુ કહેવુ છે કે, અમારી પાસે વેક્સીનનો જથ્થો પહેલેથી જ ઓછો છે ત્યારે 18 વર્ષથી વધારે વયના લોકોને વેક્સીન આપવાનુ અમારા માટે શક્ય નથી.

રાજસ્થાને તો ત્યાં સુધી કહ્યુ છે કે, કેન્દ્રના કહેવા પર અમે પૂણેના સિરમ ઈન્સ્ટિટ્યુટનો સંપર્ક કર્યો હતો.ઈન્સ્ટિટ્યુટે અમને 15 મે પહેલા વેક્સીન સપ્લાય કરી શકાય તેમ નથી તેવુ કહ્યુ છે.કારણકે કેન્દ્ર સરકાર તરફથી જે ઓર્ડર મળ્યો છે તેનો સપ્લાય કરવામાં જ 15 મે જેટલો સમય જાય તેમ છે.

રાજસ્થાનના આરોગ્ય મંત્રી રઘુ શર્માએ કહ્યુ હતુ કે, જો કંપનીઓ પહેલા કેન્દ્ર સરકારના ઓર્ડર પૂરા કરવાની હોય તો રાજ્ય સરકારે વેક્સીનિ કેવી રીતે ખરીદવાની તેની સ્પષ્ટતા સરકાર કરે.રાજસ્થાનમાં 18 થી 45 વર્ષની વયના 3.13 કરોડ લોકો છે તો તેમનુ રસીકરણ વેક્સીનની અછત વચ્ચે કેવી રીતે કરવુ?

Share: