11 કરોડ કરતા વધારે વસ્તી ધરાવતા બિહારમાં ફક્ત 19 કોરોના દર્દીઓની આયુષ્માન ભારત અંતર્ગત સારવાર

11 કરોડ કરતા વધારે વસ્તી ધરાવતા બિહારમાં ફક્ત 19 કોરોના દર્દીઓની આયુષ્માન ભારત અંતર્ગત સારવાર


– આ યોજના અંતર્ગત ઉત્તર પ્રદેશમાં 875 અને ઝારખંડમાં 1,419 દર્દીઓની સારવાર કરવામાં આવી

નવી દિલ્હી, તા. 16 જૂન, 2021, બુધવાર

કોવિડ-19 મહામારી વચ્ચે એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે, હેલ્થ સિસ્ટમમાં સુધારાની જરૂર છે. સંકટના આ સમયમાં આયુષ્માન ભારત યોજના અંતર્ગત જે દાવાઓ કરવામાં આવ્યા છે તેની કંઈક અલગ જ વાસ્તવિકતા સામે આવી છે. એક આરટીઆઈમાં થયેલા ખુલાસા પ્રમાણે 11 કરોડ કરતા વધારે લોકોની વસ્તી ધરાવતા બિહારમાં આયુષ્માન ભારત યોજના અંતર્ગત ફક્ત 19 લોકોની જ કોવિડ સારવાર થઈ છે. 

આ યોજના અંતર્ગત ઉત્તર પ્રદેશમાં 875 અને ઝારખંડમાં 1,419 દર્દીઓની સારવાર કરવામાં આવી છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રાધિકરણના અહેવાલ પ્રમાણે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત કુલ 23.78 લાખ (17.73 લાખ પરીક્ષણ અને 6.05 લાખ ઉપચાર) પ્રવેશને મફત પરીક્ષણ અને ઉપચાર માટે અધિકૃત કરવામાં આવ્યા છે. તપાસ કરવામાં આવેલા લોકોની સંખ્યા આ યોજના અંતર્ગત સારવાર કરવામાં આવી તે લોકોની સરખામણીએ આશરે 3 ગણી વધારે છે. 

વર્ષ 2018માં આયુષ્માન ભારત યોજના આશરે 50 કરોડ ભારતીયોને એ સુનિશ્ચિત કરવામાં મદદ કરવા શરૂ કરવામાં આવી હતી કે ગરીબોને સારી ગુણવત્તાવાળી સસ્તી સ્વાસ્થ્ય સેવા મળે. આ યોજના અંતર્ગત એક લાભાર્થી પ્રતિ પરિવાર પ્રતિ વર્ષ આશરે 5 લાખ રૂપિયા સુધીની મફત ચિકિત્સાનો લાભ પ્રાપ્ત કરી શકે છે. 

Share: