હું એ દિવસે BJPમાં જોડાઈશ જ્યારે કાશ્મીરમાં કાળો બરફ પડશેઃ ગુલામ નબી

હું એ દિવસે BJPમાં જોડાઈશ જ્યારે કાશ્મીરમાં કાળો બરફ પડશેઃ ગુલામ નબી


– આઝાદે ભાજપમાં જોડાવાની અટકળોનો આપ્યો જવાબ

નવી દિલ્હી, તા. 12 ફેબ્રુઆરી, 2021, શુક્રવાર

રાજ્યસભામાં વિદાય સંબોધન વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કોંગ્રેસી નેતા ગુલામ નબી આઝાદ માટેની ભાવુકતાએ અનેક સવાલોને જોર આપ્યું છે. આ સાથે જ ભવિષ્યની રાજનીતિને લઈને પણ અટકળો થઈ રહી છે. આજથી 41 વર્ષ પહેલા શરૂ થયેલી આઝાદની રાજકીય સફરનો સોમવારે અંત આવશે. જો કે વિદાય ભાષણ અને તેના પછી જે પ્રકારના ઘટનાક્રમ સર્જાયા તેનાથી આઝાદ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ શકે છે તેવી અટકળો થઈ રહી છે. જો કે ગુલામ નબી આઝાદે આ પ્રકારની અટકળોને રદિયો આપ્યો હતો. 

એક ઈન્ટરવ્યુમાં તેમણે પોતાના ભાજપમાં જોડાવાની અટકળોને અફવા ઠેરવી દીધી હતી. આ પ્રકારની અફવાઓનો જવાબ આપતા તેમણે કહ્યું હતું કે, “હું એ દિવસે ભાજપમાં સામેલ થઈશ જ્યારે આપણા કાશ્મીરમાં કાળો બરફ પડશે. અને માત્ર ભાજપ જ કેમ, હું કોઈ પણ પાર્ટીમાં જોડાઈ જઈશ. જે લોકો આવી અફવાઓ ફેલાવી રહ્યા છે તે મને ઓળખતા નથી. જ્યારે રાજમાતા સિંધિયા વિપક્ષના ઉપ નેતા હતા તે સમયે તેમણે મારા પર કેટલાક આરોપો લગાવ્યા હતા. તે સમયે મેં ઉભા થઈને કહેલું કે, હું આ આરોપને ગંભીર માનું છું. સાથે જ સલાહ આપું છું કે, અટલ બિહારી વાજપેયી, સિંધિયા અને એલકે અડવાણીની સદસ્યતાવાળી એક કમિટી રચીને 15 દિવસમાં પોતાનો રિપોર્ટ આપે. કમિટી જે પણ સજા આપશે તે મને મંજૂર છે. વાજપેયી સદનમાં આવ્યા અને મેં તેમનો ઉલ્લેખ કર્યો એટલે તેમણે પુછ્યું અને મેં તેમને સમગ્ર જાણકારી આપી. ત્યાર બાદ તેમણે ઉભા થઈને પોતે સદન અને ગુલામ નબી આઝાદની માફી માંગે છે તેમ કહ્યું હતું. સાથે જ બની શકે કે રાજમાતા સિંધિયા તેમને ન જાણતા હોય પરંતુ હું આઝાદને જાણું છું તેમ કહ્યું હતું.”

સોનિયાનો પત્ર મળ્યો, રાહુલ સાથે મુલાકાત થઈ

કોંગ્રેસ અધ્યક્ષ કે પાર્ટીના લોકોએ તેમની નિવૃત્તિ માટે કશું કહ્યું કે નહીં તેવા સવાલના જવાબમાં ગુલામે પાર્ટી અધ્યક્ષે એક પત્ર લખીને પોતાના કામની પ્રશંસા કરી હોવાનું જણાવ્યું હતું. સાથે જ તેમણે પોતે રાહુલ ગાંધીને મળ્યા હોવાનું પણ જણાવ્યું હતું. 

Share: