હિંસા બાદ દિલ્હી પોલીસ એક્શનમાં : ચાર એફઆઇઆર નોંધી, રાકેશ ટિકૈતે પોલીસ પર ઠીકરું ફોડ્યું

હિંસા બાદ દિલ્હી પોલીસ એક્શનમાં : ચાર એફઆઇઆર નોંધી, રાકેશ ટિકૈતે પોલીસ પર ઠીકરું ફોડ્યું

નવી દિલ્હી, તા. 26 જાન્યુઆરી 2021, મંગળવાર

પ્રજાસત્તાક પર્વ ઉપર એક તરફ રાજપથ ઉપર પરેડ નિકળી હતી તો બીજી તરફ દિલ્હીમાં વવિધ જગ્યા પર ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજી હતી. આ ટ્રેકટર પરેડ હિંસક બનતા ભઆરે ઘર્ષણ થયું હતું. પ્રદર્શનકારીઓએ જાહેર અને ખાનગી સંપતિને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. પોલીસે આપેલી માહિતિ પ્રમાણે ઇસ્ટર્ન રેન્જમાં પ્રદર્શનકારીઓ દ્વારા 8 બસ અને 17 ખાનગી ગાડીઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. 

આ હિંસામાં દિલ્હી પોલીસના 86 જવાનો ઘાયલ થયા છે જેમાંથી 40 કરતા વધારે જવાનોને ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. તો સામે પક્ષે ખેડૂતોના ઘાયલ થવાના પણ સમાચાર છે. દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર કાબૂ મેળવવા માટે ગૃહમંત્રાલય દ્વારા 1500 જેટલા સીઆરપીએફના જવાનોને દિલ્હીમાં તહેનાત કરવામાં આવ્યા છે. 

તો આ તરફ હિંસા બાદ હવે દિલ્હી પોલીસ પણ એક્શન મોડમાં આવી છે. દિલ્હી પોલીસે પ્રદર્શનકારીઓ સામે એફઆઇઆર નોંધી છે. પોલીસના જવાનો પર હૂમલો કરવા અંગે, જાહેર સંપતિને નુકસાન કરવા અંગે પોલીસે કુલ 4 કેસ નોંધ્યા છે. જેમાં એક કેસ ગાજીપુરમાં, બે પાંડવનગર અને એક સીમાપુરી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે.

તો આ તરફ ખેડૂત નેતા રાકેશ ટિકૈતે ઉલ્ટો પોલીસ ઉપર જ આક્ષેપ લગાવ્યો છે. તેમણે મીડિયા સામે આવીને કહ્યું કે પોલીસે તેમનો સહયોગ કર્યો નહોતો. જે રુટ રેલી માટે નક્કી કરાયો હતો તેને બંધ કરી દેવામાં આવ્યો હતો. ટ્રેક્ટરોને જે નુકસાન થયું છે તેની ભરપાઇ પોલીસ કરશે.

Share: