હવે દિલ્હી-નોએડા બોર્ડર પણ બંધ કરવાની તૈયારી, આવતા મહિને ગુજરાત આવશે : રાકેશ ટિકૈતનું એલાન

હવે દિલ્હી-નોએડા બોર્ડર પણ બંધ કરવાની તૈયારી, આવતા મહિને ગુજરાત આવશે : રાકેશ ટિકૈતનું એલાન

નવી દિલ્હી, તા. 16 માર્ચ 2021, મંગળવાર

રાજધાની દિલ્હીની સરહદો પર છેલ્લા ત્રણ મહિના કરતા પણ વધારે સમયથી ખેડૂત દોલન ચાલી રહ્યું છે. હવે ખેડૂત નેતાઓ દેશના અલગ અલગ રાજ્યોનો પ્રવાસ કરી રહ્યા છે અને ખેડૂત આંદોલન માટે સમર્થન મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે આ બધા વચ્ચે ફરીથી દિલ્હીની સરહદો પર કંઇક નવાજૂની થવાના એંધોણ જોવા મળ્યા છે.

ખેડૂત નેતા રાકેશ ટિકૈતે આ માટેના સંકેતો આપ્યા છે. રાકેશ ટિકૈતે જણાવ્યું કે 26 માર્ચના રોજ ભારત બંધ થશે અને ત્યારે નોએડા અને દિલ્હીને જોડતી ચિલ્લા બોર્ડર પણ બંધ કરાવામાં આવશે. આ જગ્યા પર આંદોલનને વધારે ઉગ્ર બનાવવામાં આવશે. સાથે જ રાકેશ ટિકૈતે કહ્યું કે જો જરુર પડી તો અને ચિલ્લા બોર્ડર ઉપર પણ ગાજીપુર બોર્ડરની માફક આંદલન શરુ કરીશું.

એક ઇન્ટરવ્યુ દરમિયાન તેમણે કહ્યું કે નોએડાના જે સ્થાનિક લોકો છે તેમને રોજગાર નથી મળતો. જે ઉદ્યોગો છે તેમાં સાથ્નિક યુવાનો અને લોકોને કામ નથી અપાતું. જે લોકોની જમીન ગઇ છે તેમને પણ નોકરી નથી મળતી. ખાસ કરીને નોએડામાં આવી સ્થિતિ છે. જો આવું જ રહેશે તો આ લોકો ક્યાં જશે? 

તેમણે આગળ કહ્યું કે અમે જાતિવાદ નથી ફેલાવી રહ્યા પરંતુ ફેક્ટરીના માલિકો જાતિવાદ ફેલાવી રહ્યા છે. ગુજરાતમાં મીઠુ પકવતા ખેડૂતો પાયમાલ થયા છે, તેઓ બંધનમાં છે. ગુજરાતના મીઠાના ખેડૂતોને આઝાદી અપાવવા માટે અમે ત્યાં પણ જઇશું. રાકેશ ટિકૈતે આવતા મહિને એટલે કે એપ્રિલમાં ગુજરાત આવવાની માહિતિ આપી છે.

Share: