હવામાં 10 મિટર સુધી ફેલાઈ શકે છે કોરોના વાયરસ, સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારની ચેતવણી

હવામાં 10 મિટર સુધી ફેલાઈ શકે છે કોરોના વાયરસ, સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારની ચેતવણી

નવી દિલ્હી,તા.20 મે 2021,ગુરૂવાર

કોરોના વાયરસ હવાથી ફેલાઈ શકે છે અને એટલા માટે જ જાણકારો સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની સલાહ આપતા હોય છે.

સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારના કાર્યાલયના કહેવા પ્રમાણે એરોસોલ અને ડ્રોપલેટસ કોરોના વાયરસ ફેલાવાના મુખ્ય બે કારણો છે. કોરોનાથી સંક્રમિત વ્યક્તિના ડ્રોપલેટ હવામાં બે મિટર સુધી જઈ શકે છે. જ્યારે એરોસોલ આ ડ્રોપલેટસને 10 મિટર સુધી આગળ વધારી શકે છે. જે સંક્રમણનો ખતરો પેદા કરી શકે છે.

કોરોનાના જે દર્દીઓમાં કોઈ લક્ષણો નથી દેખાતા તેવા દર્દીઓ પણ વાયરલ લોડ બનાવી શકે તેટલા ડ્રોપલેટ્સ હવામાં રિલિઝ કરી શકે છે અને તેનાથી બીજા લોકો સંક્રમિત થઈ શકે છે. તેનો અર્થ એ થયો કે, કોરોનાથી બચવા માટે બે વ્યક્તિઓ વચ્ચે દસ મિટરનુ અંતર પણ પુરતુ છે કે નહીં તે સવાલ છે.

મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારના કાર્યાલયના કહેવા પ્રામણે સંક્રમિત વ્યક્તિના શ્વાસ છોડવાથીબ, બોલવાથી, હસવાથી અને છીંક ખાવાથી લાળ અને નાકમાંથી જે સ્ત્રાવ નીકળે છે તેમાં વાયરસ પણ હોય છે. જે બીજાને ચેપ લગાડી શકે છે. એટલા માટે જ સંક્રમણની ચેન તોડવા કોવિડ પ્રોટોકોલનુ પાલન બહુ જરુરી છે. જેના ભાગરુપે માસ્ક પહેરવા જોઈએ. હાથ ધોતા રહેવુ જોઈએ અને શક્ય હોય તેટલુ વધારે અંતર એક બીજાથી રાખવુ જોઈએ.

એક સંક્રમિત વ્યક્તિમાં કોરોનાના લક્ષણ દેખાતા એક સપ્તાહ જેટલો સમય પણ નીકળી જાય છે. આ દરમિયાન તે બીજાને પણ સંક્રમિત કરી શકે છે. જેમનામાં લક્ષણ નથી દેખાતા તેવા લોકો પણ વાયરસ ફેલાવી શકે છે.

નવી ગાઈડલાઈન પ્રમાણે બંધ અને જ્યાં હવાની અવરજવર ઓછી હોય તેવા સ્થળોએ ડ્રોપલેટ અને એરોસોલના કારણે કોરોનાનુ સંક્રમણ ફેલાવાનુ જોખમ વધી જાય છે. ગાઈડલાઈનમાં એવી વસ્તુઓની અને સપાટીની નિયમિત પણે બ્લિચ અને ફિનાઈલથી સફાઈ કરવાની સલાહ અપાઈ છે જેના સંપર્કમાં લોકો વધારે આવતા હોય છે. જેમ કે દરવાજાનુ હેન્ડલ, લાઈટની સ્વિચ, ટેબલ ખુરશી.

ગ્લાસ, પ્લાસ્ટિક, સ્ટેનલેસ સ્ટીલની સપાટી પર વાયરસ લાંબા સમય સુધી જીવતો રહે છે.એટલે તેની સફાઈ પણ જરુરી છે.

Share: