હજુ સંપૂર્ણ લોકડાઉનની જરુર નથી, અત્યારે નાઇટ કર્ફ્યુ જ પુરતો જ છે : વડાપ્રધાન મોદી

હજુ સંપૂર્ણ લોકડાઉનની જરુર નથી, અત્યારે નાઇટ કર્ફ્યુ જ પુરતો જ છે : વડાપ્રધાન મોદી

નવી દિલ્હી, તા. 8 એપ્રિલ 2021, ગુરુવાર

દેશમાં કોરોના વાયરસની બીજી લહેરના કારણે હાહાકાર મચ્યો છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધતા કોરોના કેસને લઈને રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે બેઠક કરી હતી. બેઠકમાં વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે દેશમાં વધતા કોરોના કેસ ચિંતાનો વિષય છે.

આ વર્ચ્યુઅલ બેઠકમાં ઉદ્ધવ ઠાકરે, વિજય રુપાણી, યેદિરુપ્પા, અમરિંદર સિંહ સહિતના મુખ્યમંત્રીઓ જોડાયા હતા. બેઠકની શરુઆતે વડાપ્રધાને મુખ્યમંત્રીઓને કહ્યું કે આપણી સામે ફરી એક વખત પડકારજનક પરિસ્થિતિ આવી છે. કોરોનાને રોકવા માટે ટેસ્ટ, ટ્રીક અને ટ્રટની ભૂમિકા મહત્વની છે. તેમણે તમામ મુખ્યમંત્રીઓને કોરોના ટેસ્ટ પર ભાર મુકવાની અપીલ કરી છે. સાથે કહ્યું કે આપણુ લક્ષ્ય 70 ટકા આરટીપીસીઆર ટેસ્ટ કરવાનું છે. 

વડાપ્રધાને કહ્યું કે પોઝિટિવ કેસોની સંખ્યા ભલે વધે, પરંતુ વધારેમાં વધારે ટેસ્ટ કરો. કેટલાક રાજ્યમાં સ્થિતિ વધારે ગંભીર છે. લોકડાઉન વિશે વાત કરતા કહ્યું કે અત્યારે લોકડાઉનની જરુર નથી, હાલ નાઇટ કર્ફ્યુ જ પુરતો છે. આજે આપણે જેટલું રસીકરણ કરીએ છીએ, તેના કરતા વધારે ટેસ્ટીંગ કરવાની જરુર છે. કોરોનાને રોકવા માટે ફરી વખત યુદ્ધના ધોરણે કામ કરવાની જરુર છે. 

નરેન્દ્ર મોદીએ કહ્યું કે 11થી 14 એપ્રિલ સુધી આપણે રસીકરણ ઉત્સવ ઉજવીએ. વેક્સિનના બગાડને રોકવો પણ જરુરી છે. તમામ લોકો રસી લેવાનો પ્રયાસ કરે. સાથે જ વેક્સિન લગાવ્યા બાદ પણ સાવધાની રાખવી જરુરી છે.

વધુમાં તેઓએ જણાવ્યું કે, ‘વિશ્વભરમાં રાત્રિ કરફ્યુનો સ્વીકાર કરવામાં આવ્યો છે. નાઇટ કરફ્યુને આપણે કોરોના કરફ્યુના નામે યાદ રાખવો જોઇએ. કોરોનાને રોકવા માટે માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન પર ફોકસ ખાસ જરૂરી છે. આ વખતે આપણી પાસે કોરોના સામે લડવા માટે તમામ પ્રકારના ઉપાયો ઉપલબ્ધ છે. હવે તો વેક્સિન પણ છે.’

Share: