સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા અમદાવાદ કોંગ્રેસમાં ભડકો, જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનું રાજીનામુ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા અમદાવાદ કોંગ્રેસમાં ભડકો, જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનું રાજીનામુ

ટિકિટ વહેંચણી તેમજ મેન્ડેટ આપવાની પદ્ધતિના કારણે નારાજગી દર્શાવી

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પોતાનું રાજીનામુ સોંપ્યું

અમદાવાદ, તા. 8 ફેબ્રુઆરી 2021, સોમવાર

રાજ્યમાં અત્યારે ચોતરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને રાજકિય ઘમાસાણ જોવા મળી રહ્યું છે. વિવધ રાજકિય પાર્ટીઓમાં ટિકિટ ફાળવણી મુદ્દે વિરોધ પણ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ કોંગ્રેસ માટે ચૂંટણી ચઢાણ વધુને વધુ કપરા થઇ રહ્યા છે. ટિકિટ ફાળવણીને લઇને એક પછી એક કોંગ્રેસના નેતાઓની નારાજગી બહાર આવી રહી છે. 

આજ શ્રેણીમાં આજે સોમવારે અમદાવાદના  જામાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પણ કોંગ્રેસને મોટો ઝાટકો આપ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય ખેડાવાલાએ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધું છે. ઇમરાન ખેડાવાલાએ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના અધ્યક્ષ અમિત ચાવડાને પોતાનું રાજીનામુ સોંપ્યું છે. 

અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણી પહેલા થયેલી ટિકિટ વહેંચણી તેમજ મેન્ડેટ આપવાની પદ્ધતિના કારણે તેઓ નારાજ થયા છે. આ અંગે તેમણે મારાજગી દર્શાવી છે અને વિરોધના ભાગરુપે પોતાનું રાજીનામુ આપ્યું છે. 

ઉલ્લેખનીય છે કે, આ પહેલા કોંગ્રેસમાં ટિકિટ વહેંચણીના કકળાટ વચ્ચે  જામાલપુરના ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા ઈમરાન ખેડાવાલાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી હતી. તેમણે ટિકિટ વહેંચણીમાં કાર્યકર્તાઓ સાથે અન્યાય થયો હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. જમાલપુરમાં ઈમરાન ખેડાવાલા વિરૂદ્ધ પોસ્ટર લગાતા સમગ્ર વિવાદ સામે આવ્યો હતો. પોસ્ટરમાં ટિકિટ વહેંચણી અંગે ઈમરાન ખેડાવાલાના વલણનો વિરોધ કરવામાં આવ્યો હતો.

Share: