સોનિયા ગાંધીએ દેશની સ્થિતિને લઈ ઉઠાવ્યા સવાલ, કેન્દ્ર પાસે કરી સર્વદળીય બેઠક બોલાવવા માંગણી

સોનિયા ગાંધીએ દેશની સ્થિતિને લઈ ઉઠાવ્યા સવાલ, કેન્દ્ર પાસે કરી સર્વદળીય બેઠક બોલાવવા માંગણી


– સોનિયા ગાંધીએ સ્ટેન્ડિંગ કમિટીને કોરોનાની વકરી રહેલી સ્થિતિ પર નજર નાખવા કહ્યું

નવી દિલ્હી, તા. 7 મે, 2021, શુક્રવાર

ભારતમાં વધી રહેલા કોરોનાના કેસ અને ત્રીજી લહેરની આશંકા વચ્ચે કોંગ્રેસે દેશની ખરાબ સ્થિતિને લઈ કેન્દ્ર સામે સવાલ કર્યા છે. પાર્ટીએ કેન્દ્ર સરકાર પાસે સર્વદળીય બેઠક બોલાવવાની માંગણી કરી છે. કોંગ્રેસની સંસદીય દળની બેઠક દરમિયાન પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ સર્વદળીય બેઠક આયોજિત કરવાની માંગણી કરી હતી. સાથે જ સ્ટેન્ડિંગ કમિટીને કોરોનાની વકરી રહેલી સ્થિતિ પર નજર નાખવા કહ્યું હતું. 

સોનિયા ગાંધીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી બેઠકને સંબોધિત કરી હતી અને કોરોનાની સ્થિતિ વધુ ખરાબ બની રહી હોવાનું કહ્યું હતું. સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, મહામારીનો સામનો કરવામાં મોદી સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. સરકાર કોરોના સંકટ મામલે સર્વદળીય બેઠક યોજે. તેના પર દૂરદર્શી નેતૃત્વ દ્વારા જ વિજય મેળવી શકાશે.

અગાઉ રાહુલ ગાંધીએ પણ વડાપ્રધાન મોદીને પત્ર લખીને વેક્સિનેશન અભિયાન વધુ ઝડપી બનાવવાની માંગણી કરી હતી. ઉલ્લેખનીય છે કે, કોરોનાના નવા કેસે ફરી નવો રેકોર્ડ સ્થાપ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 4,14,188 નવા કેસ સામે આવ્યા હતા અને 3,915 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

Share: