સીરમ ઈન્સ્ટિટ્યુટે પોલીયોની વેક્સીનના ભાવમાં કર્યો કમરતોડ વધારો, સરકાર મૂંઝવણમાં

સીરમ ઈન્સ્ટિટ્યુટે પોલીયોની વેક્સીનના ભાવમાં કર્યો કમરતોડ વધારો, સરકાર મૂંઝવણમાં

નવી દિલ્હી,તા.9 જૂન 2021,બુધવાર

સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાએ કોરોના રસી માટેની બોલબાલા વચ્ચે હવે પોલિયો માટેની વેક્સીનના ડોઝના ભાવમાં કમરતોડ વધારો ઝીંકી દીધો છે.

ઈન્સ્ટિટ્યુટે જે નવો રેટ નક્કી કર્યો છે તે અગાઉના રેટ કરતા બમણા કરતા પણ વધાર છે. આ કિંમતને જોઈને સરકારની ખરીદી કરનાર સમિતિએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ આ બાબતે ધ્યાન દોરવાનો નિર્ણય કર્યો છે. સમિતિ સ્વાસ્થ્ય મંત્રીને આ મુદ્દે કંપની સાથે વાતચીત કરવા માટે પણ અપીલ કરશે.

સૂત્રોના કહેવા પ્રમાણે સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાએ પોલિયોના 180 લાખ ડોઝ સપ્લાય કરવા માટે પ્રતિ ડોઝ 188 રૂપિયાની માંગણી કરી છે અને તેમાં પણ ટેક્સ અલગથી.આ પહેલા પોલિયો વેક્સીનના એક ડોઝની કિંમત 106 રૂપિયા હતી.સરકારે તાજેતરમાં જ પોલીયોના રેગ્યુલર વેક્સિનેશન પ્રોગ્રામ માટે 2021-22ના નાણાકીય વર્ષ માટે વેક્સીનના 180 લાખ ડોઝ ખરીદવાનુ નક્કી કર્યુ છે.

ગયા વર્ષે સરકારે આ જ વેક્સીન પ્રતિ ડોઝ 91 રૂપિયાના ભાવે ખરીદી હતી અને તેમાં ટેક્સ સામેલ નહોતો.જોકે આ વખતે ડોઝની રકમ બહુ વધારવામાં આવી છે તેવુ ખુદ સરકારની સમિતિ પણ કહી રહી છે. દરમિયાન સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાએ 31 મેના રોજ કહી દીધુ હતુ કે, કંપનીએ ડોઝની જે રકમ નક્કી કરી છે તેમાં હવે કોઈ ઘટાડો કરવામાં નહીં આવે. કંપનીએ તો કહ્યુ હતુ કે, વહેલી તકે અમને ઓર્ડર આપવામાં આવે જેથી વેક્સિનના પ્રોડક્શનની યોજના બનાવી શકાય.

પોલિયોની વેક્સીન લગાવવી જરૂરી છે. ભારતમાં જે પણ બાળકો જન્મે છે તેમને આ વેક્સીન આપવામાં આવે છે. જેથી બાળકોને પોલિયો ના થાય રસીના કારણે ભારતમાંથી પોલિયો લગભગ ખતમ થઈ ચુકયો છે.

Share: