શું મહારાષ્ટ્રમાં ફરીથી લોકડાઉન થશે? બુધવારે 23 હજાર કરતા વધારે કોરોના કેસ નોંધાયા

શું મહારાષ્ટ્રમાં ફરીથી લોકડાઉન થશે? બુધવારે 23 હજાર કરતા વધારે કોરોના કેસ નોંધાયા

મુંબઇ, તા. 17 માર્ચ 2021, બુધવાર

દેશમાં કોરોના વાયરસ ફરીથી માથુ ઉંચકી રહ્યો છે. ખાસ કરીને વર્તમાન સમયે મહારાષ્ટ્રમાં સૌથી વધારે કોરોના કેસ સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં કોરોના ફરીથી પોતાની જૂની સ્થિતિમાં આવી રહ્યો છે. દરરોજ સામે આવતા કોરોના કેસો આ વર્ષનો નવો રેકોર્ડ બનાવી રહ્યા છે. જેના કારણે હવે મહારાષ્ટ્ર ફરીથી લોકડાઉન કરવું પડે તેવી સ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે. 

મહારાષ્ટ્રમાં બુધવારે કોરોનાના નવા 23179 કેસ નોંધાયા છે. જે આ વર્ષમાં અત્યાર સુધીમાં સૌથી વધારે છે. સાથે જ છેલ્લા 24 કલાકની અંદર મહારાષ્ટ્રમાં 84 લોકોના મોત પણ થયા છે.  જેની સાથે જ રાજ્યમાં કુલ કેસોના સંખ્યા 23,70,507 તઇ છે ને કુલ મૃત્યુઆંક 53,080 પર પહોંચ્યો છે. 

બુધવારે મહારાષ્ટ્રમાં સૌથી વધારે કેસ પુણેમાં સામે આવ્યા છે. પુણેમાં છેલ્લા 24 કલાકમાં 4727 કેસ નોંધાયા છે. મુંબઇ શહેરની વાત કરીએ તો ત્યાં 2377 કોરોના કેસ નોંધાયા છે. મુંબઇમાં વર્તમાન સમયે એક્ટિવ કેસોની સંખ્યા 15,410 છે. 

ઉલ્લેનીય છે કે મહારાષ્ટ્રમાં છેલ્લા થોડા દિવસથી કોરોનાની બીજી લહેર શરુ થઇ છે. જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે કેટલાક પ્રતિબંધો લગાવ્યા છે. કેટલાક વિસ્તારોમાં લોકડાઉન અને નાઇટ કર્ફ્ય લગાવ્યો છે. ગયા અઠવાડિયે કેન્દ્રની ટીમ પણ મહારાષ્ટ્ર પહોંચી હતી. ત્યારે હવે કોરોનાના આંકડા જે રીતે ડરાવી રહ્યા છે તેને જોતા લોકોને ફરી વખત લોકડાઉન થવાનો ડર છે.

Share: