વેક્સીન માટેના 35000 કરોડ રૂપિયા ક્યાં ગયા? પ્રિયંકા ગાંધીનો કેન્દ્ર સરકારને સવાલ

વેક્સીન માટેના 35000 કરોડ રૂપિયા ક્યાં ગયા? પ્રિયંકા ગાંધીનો કેન્દ્ર સરકારને સવાલ

નવી દિલ્હી,,તા.3 જૂન 2021,ગુરૂવાર

દેશમાં ચાલી રહેલા વેક્સીનેશન અભિયાન પર કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ સવાલ ઉઠાવ્યા છે. વેક્સિનેશનને લઈને તેઓ છેલ્લા કેટલાક દિવસોથી સરકારની ટીકા કરી રહ્યા છે.

પ્રિયંકા ગાંધીએ સવાલ પૂછતા કહ્યુ છે કે, વેક્સીન માટે 35000 કરોડ રૂપિયાનુ બજેટ હતુ અને આ રકમ ક્યાં ખર્ચાઈ છે તે સરકાર જણાવે. મે મહિનામાં વેક્સીનની ઉત્પાદન ક્ષમતા 8.5 કરોડ હતી અને ઉત્પાદન 7.94 કરોડનુ થયુ હતુ. 6.1 કરોડ લોકોને વેક્સીન આપવામાં આવી હતી. જૂન મહિનામાં 12 કરોડ વેક્સીન ડોઝના ઉત્પાદનનો સરકારનો દાવો છે તો એક જ મહિનામાં વેક્સીન કંપનીની ઉત્પાદન ક્ષમતામાં 40 ટકાનો વધારો કેવી રીતે થઈ ગયો. વેક્સીન બજેટ માટેના 35000 કરોડ રૂપિયા ક્યાં વપરાયા? અંધેર વેક્સી નીતિ અને ચોપટ રાજાનુ દેશમાં શાસન છે.

આ પહેલા પણ પ્રિયંકા ગાંધીએ કહ્યુ હતુ કે ,દેશમાં સરેરાશ 19 લાખ લોકોને રોજ વેક્સીન અપાઈ રહી છે.સરકારની ઢીલી નીતિના કારણે વેક્સીનેશન પ્રોગ્રામ અધવચ્ચે લટકી રહ્યો છે.ભારતના લોકોને આશા હતી કે, મફત વેક્સીન મળશે પણ તેની જગ્યાએ વેક્સીનેશન સેન્ટરો પર તાળા છે. માત્ર 3.4 ટકા લોકોને વેક્સીનના બે ડોઝ મળ્યા છે. કેન્દ્ર સરકારે જવાબદારી રાજ્યો પર ડોળી દીધી છે. ડિસેમ્બર સુધીમાં જો તમામ પુખ્ત વયના ભારતીયોને રસી મુકવી હોય તો રોજ 70 થી 80 લાખ લોકોને રસી મુકવાની જરૂર છે.

પ્રિયંકા ગાંધી કોણ જવાબદાર છે…શિર્ષક હેઠળ રોજ સરકારને સવાલો પૂછી રહ્યા છે.તેમણે એવુ પણ કહ્યુ હતુ કે, સરકારની નિષ્ફળ નીતિના કારણે અલગ અલગ ભાવે વેક્સીન મળી રહી છે. જે વેક્સીન કેન્દ્રને 150 રૂપિયામાં મળી તે રાજ્યોને 400 રૂપિયામાં અને પ્રાઈવેટ હોસ્પિટલોને 600 રૂપિયામાં મળી રહી છે, આ પ્રકારનો ભેદભાવ સમજાતો નથી.

Share: