વિસાવદરમાં AAPના કાફલા પર હૂમલો : વાહનોમાં તોડફોડ, બે કાર્યકર્તા ઘાયલ; જુઓ વીડિયો

વિસાવદરમાં AAPના કાફલા પર હૂમલો : વાહનોમાં તોડફોડ, બે કાર્યકર્તા ઘાયલ; જુઓ વીડિયો

અમદાવાદ, તા. 30 જૂન 2021, મંગળવાર

જ્યારથી રાજ્યામાં ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઇ છે, ત્યારથી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. આ રાજકિય ગરમાવાએ હવે હિંસક સ્વરુપ ધારણ કર્યુ છે. આજે આમ આદમી પાર્ટીના કાફલા પર હૂમલો થયો છે. વિસાવદરના લેરિયા ગામે આમ આપના કાફલા ઉપર કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો. જેમાં કેટલીક ગાડીના કાચ તૂટી ગયા. આ પથ્થરમારાની ઘટનામાં આપના એક કાર્યકરને ગંભીર ઇજા પણ પહોંચી છે.

વિસાવદરના લેરિયા ગામમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભાને સંબોધવા માટે પાર્ટીના નેતાઓ ઈસુદાન ગઢવી અને મહેશ સવાણી અને પ્રવીણ રામ લેરિયા ગામ પહોંચ્યા હતા. જો કે તેમના પહોંચતાની સાથે જે અજાણ્યા લોકો દ્વારા તેમની ગાડીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ગાડીઓના કાચ તોડી નાખવામાં આવ્યા હતા. ગાડી પર પથ્થરમારો કરતા કુલ પાંચથી સાત ગાડીઓમાં નુકસાન થયું છે, તો બે લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામા આવ્યા છે.

આમ આદમી પાર્ટી ગુજરાતના ટ્વીટર હેન્ડલ પર  હૂમલા વિશે ફોટો અને વીડિયો સાથે ટ્વિટ કરવામાં આવી છે. જેમાં તેમણે આ હૂમલા માટે ભાજપને જવાબદાર ગણાવ્યું છએ. તેમણે ટ્વિટ કરીને લખ્યું છે કે ભાજપના ગુંડાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે.  ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી જેમાં એક કાર્યકર ઘાયલ થયો છે. તો સાથે જ આક્ષેપ કરવામાં આવ્યો છે કે ગુજરાતની સ્થાનિક ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીની ધમાકેદાર એન્ટ્રી અને લોકોમાં વધી રહેલી લોકપ્રિયતાથી ભાજપ ડરી ગયું છે.


આમ આદમી પાર્ટીના જે કાફલા પર હૂમલો કરવામાં આવ્યો છે તેમાં તાજેતરમાં જ આપમાં જોડાયેલા ઈસુદાન ગઢવી, પ્રવીણ રામ મહેશ સવાણી જેવા મોટા નેતાઓ હાજર હતા. જેમણે આ હૂમલો ભાજપ પ્રેરિત હોવાનો આક્ષેપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે ભાજપના ગુંડાઓએ ધારિયા તલવાર સાથે હુમલો કર્યો હતો. આ હૂમલા અંગે નિવેદન આપતા ઇસુદાન ગઢવીએ કહ્યું કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. અને ગુજરાત બિહાર બનવા તરફ જઈ રહ્યું છે. ગુજરાતની રાજનીતિ હવે લોહિયાળ બની છે. 

ખાસ વાત તો એ છે કે પોલીસ બંદોબસ્ત વચ્ચે આ હૂમલો થયો છે. હૂમલો થતા લેરિયા ગામે યોજાનાર સભાને મોકૂફ રાખવામાં આવી છએ. આ સિવાય આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય ટ્વિટર હેન્ડલ પરથી પણ આ હૂમલા અંગે ટ્વિટ કરવામાં આવ્યું છે. જેમાં પણ ભાજપ પર હૂમલાનો આક્ષેપ કરાયો છે.

Share: