વાવાઝોડુ નબળુ પડ્યુ છે, પણ ચિંતા હજૂ યથાવત, કામ વગર ઘરની બહાર નિકળશો નહીં: CM રૂપાણી

વાવાઝોડુ નબળુ પડ્યુ છે, પણ ચિંતા હજૂ યથાવત, કામ વગર ઘરની બહાર નિકળશો નહીં: CM રૂપાણી

ગાંધીનગર, તા. 18 મે 2021, મંગળવાર

રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ  તૌકતે વાવાઝોડાની સ્થિતિ અંગે ગાંધીનગરમાં સમીક્ષા બેઠક કરી હતી. બેઠક બાદ સીએમ રૂપાણી પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યુ હતુ કે રાજ્યમાં હાલ કેટલાય વિસ્તારોમાં 150 કિમીની પ્રતિ કલાકે પવન ફૂંકાઈ રહ્યો છે. વાવાઝોડુ નબળુ પડ્યુ છે, પણ ચિંતા હજૂ યથાવત છે. તંત્રની તૈયારીને કારણે મોટી જાનહાની ટાળી શકાય તેમ છે. વધુમાં જણાવ્યા પ્રમાણે રાજ્યમાં લગભગ 2 લાખ જેટલા લોકોનું સ્થળાંતરણ કરવામાં આવ્યુ છે.

સૌરાષ્ટ્રને ધમરોળ્યા બાદ તૌકતે વાવાઝોડું અમદાવાદ જિલ્લા તરફ આગળ વધી રહ્યુ છે. તેની અસર ધંધુકા અને ધોલેરામાં વર્તાઈ રહી છે. ધંધુકામાં 60થી 90 કિમી અને ધોલેરામાં 60થી 100ની ગતિ એ પવન ફૂંકાઈ છે. વાવાઝોડું વિરમગામ તરફ આગળ વધશે. જેથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવાઈ છે. રાજ્યમાં વાવાઝોડાના કારણે 1 હજાર 81 થાંભલાઓ પડ્યા છે. વાવાઝોડાથી 40 હજાર વૃક્ષો ધરાશાયી થયા. વાવાઝોડાથી 16 હજાર 500 ઝુપડાઓ અસરગ્રસ્ત થયા છે.

સૌથી વધુ બગસરામાં નવ ઈંચ વરસાદ

રાજ્યના 35 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. તેમા સૌથી વધુ વધુ વરસાદ બગસરામાં નવ ઈંચ પડ્યો સીએમ રૂપાણીએ વધુમાં જણાવ્યુ હતુ કે, વાવાઝોડાના કારણે 16 હોસ્પિટલમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જેને ફરીવાર ચાલુ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં ઓક્સિજનનો પુરવઠો ક્યાંય અટક્યો નથી. સરકારે તમામ આગોતરી કવાયત હાથ ધરી હતી.

Share: