વાવાઝોડાથી નાશ પામેલા કે નુકશાનગ્રસ્ત થયેલા મકાનો માટે સરકારે જાહેર કરી આર્થિક સહાય, જાણો વિગત

વાવાઝોડાથી નાશ પામેલા કે નુકશાનગ્રસ્ત થયેલા મકાનો માટે સરકારે જાહેર કરી આર્થિક સહાય, જાણો વિગત

ગાંધીનગર, 22 મે 2021 શનિવાર

ગુજરાતમાં ત્રાટકેલા વિનાશક ચક્રવાત તૌકતેનાં કારણે મોટી સંખ્યામાં લોકોની સંપત્તી નાશ પામી હતી, મકાનો, ઘર વખરી, ખેત પેદોશો નાશ પામતા લોકો માટે જીવનમાં ફરીથી ઉભું થવું મુશ્કેલ બન્યું હતું, જો કે કેન્દ્રની મોદી સરકારે વાવાઝોડા બાદ 1 હજાર કરોડની આર્થિક મદદની ઘોષણા કરી હતી, આજે મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીનાં નેતૃત્વમાં યોજાયેલી કોર કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો, અને વાવાઝોડામાં થયેલી નુકસાનીને લઈ સરકાર દ્વારા સહાય જાહેર કરવામાં આવી છે.

તૌકતે વાવાઝોડાને કારણે મકાનો, ઝુપડાઓ વગેરેને થયેલા નુકસાનની સહાય રાજ્ય સરકાર કરશે, જેમકે રાજ્યમાં સંપૂર્ણ નાશ પામેલા મકાનો માટે રૂ. 95,100ની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. અંશત: નુકસાન પામેલા કાચા- પાકા મકાનો એટલે કે છાપરા- નળીયા ઉડી ગયા હોય, કોઇ દિવાલ ધારાશાયી થઈ ગઈ હોય તેવા મકાનો માટે રૂ. 25,000ની સહાય અપાશે. આ વાવાઝોડાને પરિણામે જે ઝૂંપડાઓ નાશ પામ્યા છે તે ઝૂંપડાઓ માટે રૂ. 10,૦૦૦ની સહાય તેમજ પશુ રાખવાની જગ્યા ગમાણ- વાડાને થયેલા નુકસાન માટે રૂ. 5,૦૦૦ની સહાય રાજ્ય સરકાર આપશે.

મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યમાં આવા મકાનોના સર્વેની હાલ ચાલી રહેલી કામગીરીને ઝડપથી પુરી કરવાની સૂચનાઓ આપી છે, જે મુજબ તૌક્તે વાવાઝોડાનાં કારણે નુકસાન અને નાશ પામેલા કાચા  અને પાકા મકાનો, ઝૂંપડાઓ, અંશત: નુકસાન પામેલા કાચા મકાનો વગેરે અંગેનો સર્વે અસરગ્રસ્ત વિસ્તારોમાં જિલ્લા તંત્રો દ્વારા હાથ ધરવામાં આવી રહ્યો છે. શહેરી વિકાસ તેમજ પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં આવા સર્વે માટે અન્ય જિલ્લાઓમાંથી વધારાનો મેન પાવર બોલાવીને તેમની પણ સેવાઓ આ સરવેમાં લઈ સર્વે કામગીરી ઝડપી બનાવવામાં આવી છે.

Share: