રાકેશ ટિકૈતની ધરપકડની અફવા, દિલ્હી પોલીસે ગણાવ્યા ફેક ન્યૂઝ, ખેડૂત નેતાએ પણ બહાર પાડ્યું નિવેદન

રાકેશ ટિકૈતની ધરપકડની અફવા, દિલ્હી પોલીસે ગણાવ્યા ફેક ન્યૂઝ, ખેડૂત નેતાએ પણ બહાર પાડ્યું નિવેદન


– પોલીસને શંકા છે કે, સોશિયલ મીડિયામાં આવા ખોટા સમાચારો ફેલાવીને માહોલ બગાડવા પ્રયત્ન થઈ રહ્યો છે

નવી દિલ્હી, તા. 26 જૂન, 2021, શનિવાર

ખેડૂતો આજે તમામ રાજ્યોના રાજ્યપાલ અને કેન્દ્રશાસિત પ્રદેશોના ઉપરાજ્યપાલને મળીને તેમને મેમોરેન્ડમ સોંપી રહ્યા છે. આ બધા વચ્ચે ખેડૂત નેતા રાકેશ ટિકૈતની ધરપકડ થઈ હોવાની અફવા પણ ફેલાઈ હતી. જોકે રાકેશ ટિકૈતે આ પ્રકારની અફવાઓ બાદ ‘મારી ધરપકડના સમાચારો ભ્રામક છે. હું ગાઝીપુર બોર્ડર ખાતે છું. બધું સલામત છે.’ તેમ જણાવ્યું હતું. 

સોશિયલ મીડિયામાં રાકેશ ટિકૈતની ધરપકડના સમાચાર વાયરલ થવા લાગ્યા હતા અને અનેક લોકો રાકેશ ટિકૈતની ધરપકડ થઈ હોવાનો દાવો કરવા લાગ્યા હતા. જોકે રાકેશ ટિકૈતે પોતે અને દિલ્હી પોલીસે ધરપકડના સમાચારને અફવા ગણાવ્યા હતા. રાકેશ ટિકૈતે ટ્વીટ કરીને પોતાની ધરપકડના સમાચારને ભ્રામક ગણાવ્યા હતા. તે સિવાય એક ઈન્ટરવ્યુમાં તેમણે પોલીસે તેમની ધરપકડ નથી કરી. પોલીસ યુધવીર સિંહ નામના શખ્સને લઈ ગઈ અને નામને લઈ કોઈ કન્ફ્યુઝન થઈ છે તેમ જણાવ્યું હતું. 

આ તરફ દિલ્હી પોલીસે પણ ટ્વીટ કરીને તેને ફેક ન્યૂઝ ગણાવ્યા હતા. દિલ્હી પોલીસે ટ્વીટમાં લખ્યું હતું કે, રાકેશ ટિકૈતની ધરપકડના સમાચાર ખોટા છે. પોલીસને શંકા છે કે, સોશિયલ મીડિયામાં આવા ખોટા સમાચારો ફેલાવીને માહોલ બગાડવા પ્રયત્ન થઈ રહ્યો છે. 

કિસાન એકતા મોરચાના ટ્વીટર એકાઉન્ટ પર રાકેશ ટિકૈતની ધરપકડ થઈ હોવાના સમાચાર મુકવામાં આવ્યા હતા. જોકે 5 મિનિટ બાદ તે ટ્વીટ ડીલિટ કરી દેવાઈ હતી. કિસાન એકચા મોરચાએ કોઈ ન્યૂઝ ચેનલ પર રાકેશ ટિકૈતની ધરપકડના સમાચાર ચાલ્યા હોવાની સ્પષ્ટતા આપી છે. 

Share: