રસી નથી તો રસીકરણ માટે સંખ્યામાં કેન્દ્રો કેમ ખોલી નાખ્યા?: દિલ્હી સરકારને હાઇકોર્ટનો સવાલ

રસી નથી તો રસીકરણ માટે સંખ્યામાં કેન્દ્રો કેમ ખોલી નાખ્યા?: દિલ્હી સરકારને હાઇકોર્ટનો સવાલ


– પહેલો ડોઝ લઇ લીધો હોય તેમના માટે છ સપ્તાહમાં બીજા ડોઝની વ્યવસ્થા કરી શકશો? તેવો સવાલ 

નવીદિલ્હી, તા. 2 જૂન 2021, બુધવાર

દિલ્હી હાઇકોર્ટે દિલ્હી સરકારને સવાલ કર્યો છે કે કોરોના રસીના ડોઝ જ નથી તો પછી રાજ્યમાં રસીકરણ માટેના આટલા બધા કેન્દ્રો કેમ ખોલી નાખવામાં આવ્યા? સરકારને નોટિસ પાઠવીને હાઇકોર્ટે સમગ્ર મામલાનો જવાબ માગ્યો છે. 

હાઇકોર્ટના ન્યાયાધીશ રેખા પલ્લીએ દિલ્હી સરકારને નોટિસ જારી કરીને પૂછ્યું છે કે જે લોકોએ કોરોના રસીનો પહેલો ડોઝ લઇ લીધો છે શું તેઓને છ સપ્તાહની સમય મર્યાદામાં બીજો ડોઝ આપી દેવા માટે સરકાર પાસે રસીની સુવિધા છે? દિલ્હી હાઇકોર્ટે અન્ય બે અરજીઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારને પણ નોટિસ પાઠવી છે અને દિલ્હીમાં કોવિશીલ્ડ તેમજ કોવેક્સિનની રસીનો બીજો ડોઝ આપવાનો આદેશ પણ આપ્યો છે. 

દિલ્હી સરકાર દાવા કરી રહી છે કે કેન્દ્ર સરકાર દ્વારા તેમને પુરતા પ્રમાણમાં રસીના ડોઝ આપવામાં નથી આવી રહ્યા. જેને કારણે અમારે રસીકરણ કેન્દ્રોને બંધ કરવા પડી રહ્યા છે. જે લોકોએ રસીનો પહેલો ડોઝ લીધો છે તેમને છ સપ્તાહના સમયગાળામાં બીજો ડોઝ પણ આપવો ફરજિયાત છે. એવામાં દિલ્હી હાઇકોર્ટે રાજ્યને પૂછ્યુ છે કે તમારી પાસે બીજા ડોઝ માટેની કોઇ વ્યવસ્થા છે? કેન્દ્ર સરકારને કહ્યું છે કે જરુરી રસીના ડોઝ તાત્કાલીક પહોંચાડવામાં આવે.

Share: