મોદી કેબિનેટનો મહત્વનો નિર્ણય, આ તારીખથી 45 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને લાગશે કોરોના વેક્સિન

મોદી કેબિનેટનો મહત્વનો નિર્ણય, આ તારીખથી 45 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને લાગશે કોરોના વેક્સિન


– રજિસ્ટ્રેશન બાદ સરકારી કે પ્રાઈવેટ સેન્ટર પરથી વેક્સિન લઈ શકાશે

નવી દિલ્હી, તા. 23 માર્ચ, 2021, મંગળવાર

ભારત સરકારે કોરોના વેક્સિનેશનને લઈને એક ખૂબ જ મહત્વનો નિર્ણય લીધો છે. દેશમાં પહેલી એપ્રિલથી વેક્સિનેશનનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે. પહેલી એપ્રિલથી 45 વર્ષ કરતા વધારે ઉંમર ધરાવતા તમામ નાગરિકોને કોરોના વેક્સિન આપવામાં આવશે. 

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આ અંગે જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે, વેક્સિનેશન માટે માત્ર રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને સરકારી કે પ્રાઈવેટ સેન્ટર્સ પર સરળતાથી વેક્સિન મળી જશે. 

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી સ્વાસ્થ્યકર્મીઓ, કોરોના વોરિયર્સની સાથે 60 વર્ષ કરતા વધારે ઉંમર ધરાવતા અને ગંભીર બીમારીથી પીડિત હોય તેવા 45 વર્ષ કરતા વધારે ઉંમરના નાગરિકોને વેક્સિન અપાઈ રહી હતી. પરંતુ કોરોનાના કેસમાં થઈ રહેલા વધારાને પગલે વેક્સિનેશનનો વ્યાપ અને સ્પીડ વધારવાની માંગણી થઈ રહી હતી.

આ કારણે સરકારે પહેલી એપ્રિલથી 45 વર્ષ કરતા વધારે ઉંમરના લોકોને વેક્સિન લેવાની મંજૂરી આપી છે. હાલ દેશમાં 10,000 સરકારી સેન્ટર્સ અને હજારો પ્રાઈવેટ સેન્ટર્સ પર કોરોના વેક્સિન અપાઈ રહી છે. સરકારી સેન્ટર્સ પર ફ્રીમાં વેક્સિન ડોઝ અપાઈ રહ્યો છે જ્યારે પ્રાઈવેટ સેન્ટર પર પ્રતિ ડોઝના 250 રૂપિયા ચાર્જ લેવામાં આવી રહ્યો છે. 

Share: