મોદી કેબિનેટનું વિસ્તરણ અને ખાતાની ફેરબદલી: જાણો ક્યારે યોજાશે શપશવિધિ, કોણ બનશે પ્રધાન?

મોદી કેબિનેટનું વિસ્તરણ અને ખાતાની ફેરબદલી: જાણો ક્યારે યોજાશે શપશવિધિ, કોણ બનશે પ્રધાન?

નવી દિલ્હી, 5 જુલાઇ 2021 સોમવાર

મોદી કેબિનેટનું આ વિસ્તરણ અને ખાતાની ફેરબદલ થશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે કેબિનેટ વિસ્તરણ ક્યારે થશે તે અંગે રાષ્ટ્રપતિ ભવનનાં સૂત્રો મૌન છે, પરંતુ કેન્દ્ર સરકાર અને ભાજપના સૂત્રોના જણાવ્યા મુજબ આ અઠવાડિયાના કોઈપણ દિવસની ઘોષણા થઈ શકે છે.

સરકારના કેટલાક સ્ત્રોતો વિસ્તરની તારીખ 7 જુલાઇ અને બપોર પહેલાનો સમય જણાવી રહ્યા છે, ભાજપના નેતૃત્વના નજીકના એક સૂત્રના જણાવ્યા મુજબ, પાર્ટી અધ્યક્ષ જે.પી.નડ્ડા મંગળવારે સાંજે તેમના હિમાચલ પ્રદેશ પ્રવાસથી પરત આવશે, તે પછી જ તારીખ અને સમય નક્કી કરવામાં આવશે. આ સ્રોતનું કહેવું છે કે અમાસ (શુક્રવાર) પછી કોઈપણ દિવસે કેબિનેટનું વિસ્તરણ થઈ શકે છે.

મોદી કેબિનેટ વિસ્તરણમાં લગભગ 22 નવા મંત્રીઓનો સમાવેશ થઈ શકે છે અને કેટલાક જૂના મંત્રીઓની હકાલપટ્ટી પણ કરી દેવામાં આવી શકે છે. કેટલાક મંત્રીઓને પણ સંગઠનમાં મોકલવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બિહાર, આસામ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડના તે મોટા નેતાઓને પ્રધાન બનાવવામાં આવી શકે છે, જે લાંબા સમયથી વેઈટિંગ લિસ્ટમાં છે.

સંભવિતોની યાદીમાં આસામના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સર્બાનંદ સોનોવાલ, ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન તિરથ સિંહ રાવત, બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન સુશીલ કુમાર મોદી, જ્યોતિરાદિત્ય સિંધિયા જેવા નેતાઓનો સમાવેશ થાય છે, જેમણે મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકારને પછાડી અને ભાજપ સરકાર બનાવી હતી.

જ્યારે, યુવા ચહેરાઓઓમાં ઘણા સમયથી સાંસદ વરુણ ગાંધી પણ મંત્રીમંડળમાં શામેલ કરાય તેવી સંભાવના છે. જ્યારે પૂર્વ કેન્દ્રીય પ્રધાન રામશંકર કથીરિયાનું નામ દલિત ચહેરા તરીકે લેવામાં આવી રહ્યું છે. અપના દળના અનુપ્રિયા પટેલ, જનતા દળ (યુ) ના આરસીપી સિંહ અને વિભાજિત એલજેપીના પારસ જૂથનાં પશુપતિ પારસનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘણા પ્રધાનોનો પોર્ટફોલિયો  પણ બદલી શકાય છે અને વધુ અને ભારે પોર્ટફોલિયો ધરાવતા મંત્રીઓનો ભાર પણ હળવો કરી શકાય છે. તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રીઓ સાથે બેઠક યોજી હતી અને તેમના કામની સમીક્ષા કરી હતી. ખુદ વડા પ્રધાને બધા મંત્રીઓના કામનું મૂલ્યાંકન કર્યું છે અને મંત્રીઓ પાસેથી કામનો હિસાબ પણ લીધો છે.

Share: