મુસ્લિમો પર હુમલા, રાજદ્રોહના કેસ… US થિંક ટેંકે ઘટાડી ભારતની ફ્રીડમ રેન્કિંગ

મુસ્લિમો પર હુમલા, રાજદ્રોહના કેસ… US થિંક ટેંકે ઘટાડી ભારતની ફ્રીડમ રેન્કિંગ


– “ભારતમાં નરેન્દ્ર મોદીની સરકાર આવી ત્યારથી નાગરિક સ્વતંત્રતાનું ધોવાણ થઈ રહ્યું છે”

નવી દિલ્હી, તા. 4 માર્ચ, 2021, ગુરૂવાર

અમેરિકાના વોશિંગ્ટન ખાતે આવેલી થિંક ટેંકે ભારતના ફ્રીડમ સ્કોરને ડાઉનગ્રેડ એટલે કે નીચો કરી દીધો છે. ફ્રીડમ હાઉસના રેન્કિંગમાં ભારત પહેલા ‘FREE’ કેટેગરીના દેશોમાં હતો પરંતુ હવે ભારતના રેન્કિંગને ઘટાડીને ‘PARTLY FREE’ કેટેગરીમાં કરી દેવાયું છે. 

સંસ્થાના રિપોર્ટ પ્રમાણે 2014થી જ્યારથી ભારતમાં નરેન્દ્ર મોદીની સરકાર આવી છે ત્યારથી ભારતમાં નાગરિક સ્વતંત્રતાનું ધોવાણ થઈ રહ્યું છે. આ રિપોર્ટમાં રાજદ્રોહના કેસનો ઉપયોગ, મુસ્લિમો પર હુમલા અને લોકડાઉન દરમિયાન લાગુ કરવામાં આવેલા પ્રતિબંધોનો ઉલ્લેખ કરાયો છે. 

નવા રિપોર્ટમાં ઈન્ડિયાનો સ્કોર 71થી ઘટીને 67 થઈ ગયો છે. સૌથી મુક્ત દેશ માટે 100 સ્કોર રાખવામાં આવેલો છે. 211 દેશોમાં ભારતનું રેન્કિંગ 83થી 88મા સ્થાને આવી ગયું છે. ફ્રીડમ હાઉસના વાર્ષિક રિપોર્ટ પ્રમાણે “ભારતમાં બહુદળીય લોકતાંત્રિક વ્યવસ્થા છે પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને હિન્દુ રાષ્ટ્રવાદી ભારતીય જનતા પાર્ટીની સરકાર ભેદભાવભરી નીતિઓ અપનાવી રહી છે. આ સમયગાળા દરમિયાન હિંસા વધી છે અને મુસ્લિમ વસ્તી તેનો શિકાર બની છે.”

રિપોર્ટ પ્રમાણે આ સરકારમાં માનવાધિકાર સંગઠનોમાં દબાણ વધ્યું છે, લેખકો અને પત્રકારોને ડરાવવામાં આવી રહ્યા છે, કટ્ટરપંથથી પ્રભાવિત થઈને હુમલા થઈ રહ્યા છે જેમાં લિન્ચિંગનો પણ સમાવેશ થાય છે અને મુસ્લિમો તેના શિકાર બન્યા છે. 

રિપોર્ટ પ્રમાણે બિનસરકારી સંગઠનો, સરકારના ટીકાકારોને હેરાન કરવામાં આવી રહ્યા છે. મુસ્લિમ, અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો આર્થિક અને સામાજીક રીતે હાંસિયામાં ધકેલાઈ ગયા છે. 

Share: