મિશન સૂર્યની કમાન મહિલા વૈજ્ઞાનિકના હાથમાં, આખી દુનિયામાં ચર્ચા, જાણો કોણ છે નિગાર શાજી

મિશન સૂર્યની કમાન મહિલા વૈજ્ઞાનિકના હાથમાં, આખી દુનિયામાં ચર્ચા, જાણો કોણ છે નિગાર શાજી

ભારતમાં દરેક ક્ષેત્રમાં મહિલાઓ પુરુષોને ટક્કર આપી રહી છે. વિકસિત દેશ બનવાની દિશામાં આગળ વધતા ભારતમાં મહિલા ભાગીદારીમાં પણ દરેક જગ્યાએ વધારો જોવા મળી રહી છે. ભારત દેશની દીકરીઓ આખા વિશ્વમાં ભારતનું ગૌરવ વધારી રહી છે. એવામાં ગઈકાલે ઈસરો દ્વારા સૂર્ય નમસ્કાર માટે રવાના કરવામાં આવેલ આદિત્ય L1 મિશનની કમાન પણ એક મહિલાના હાથમાં છે. આ મિશનનું નેતૃત્વ ઈસરોના એક મહિલા વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવી રહ્યું છે.

કોણ છે  નિગાર શાજી?

સૂર્ય મિશનનું નેતૃત્વ કરનાર ભારતીય મહિલા વૈજ્ઞાનિક નિગાર શાજી છે. 59 વર્ષીય શાજીએ કહ્યું, આ એક સ્વપ્ન સાકાર થવા જેવું છે. અમને વિશ્વાસ છે કે PSLV અમારા આદિત્ય-L-1ને યોગ્ય સ્થાને મૂકવામાં સફળ થશે. આ પછી, આ મિશન માત્ર ભારતને જ નહીં પરંતુ વિશ્વને પણ ઘણું આપશે.

શાજી સામાન્ય પરિવારમાંથી આવી સફળતાના શિખરે  

નિગાર શાજી તમિલનાડુના તેનકાસી જિલ્લાના છે અને એક ખેડૂત પરિવારમાંથી આવે છે. તેમણે તિરુનેલવેલી સરકારી એન્જિનિયરિંગ કોલેજમાંથી ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનમાં એન્જિનિયરિંગ કર્યું અને પછી બિરલા ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, રાંચીમાંથી માસ્ટર્સ પૂર્ણ કર્યું. આ પછી જ 1987માં તે સતીશ ધવન સ્પેસ સેન્ટરમાં જોડાયા હતા. બાદમાં તે યુઆર રાવ સેટેલાઇટ ટીમમાં જોડાયા. 

સૂર્ય મિશનના પ્રોજેક્ટ ડાયરેક્ટર

શાજી આંતરગ્રહીય ઉપગ્રહ કાર્યક્રમો માટે સંચાર અને નિષ્ણાત તરીકે કામ કરે છે. તે સૂર્ય મિશનના પ્રોજેક્ટ ડાયરેક્ટર છે. આ સિવાય તે ભારતના રિમોટ સેન્સિંગ સેટેલાઇટ રિસોર્સસેટ-2એના એસોસિયેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર પણ રહી ચૂક્યા છે. આ મિશનમાં શાજીની સાથે અન્ય એક મહિલા વૈજ્ઞાનિકનું પણ મોટું યોગદાન છે. તેનું નામ અન્નપૂર્ણિ સુબ્રમણ્યમ છે. તે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ એસ્ટ્રોફિઝિક્સના ડિરેક્ટર છે. આ જ સંસ્થાએ સૂર્યનો અભ્યાસ કરવા માટે આદિત્ય એલ-1 મિશનનો મુખ્ય પેલોડ ડિઝાઇન કર્યો છે.

અન્નપૂર્ણિ સુબ્રમણ્યમનું પણ યોગદાન 

સુબ્રમણ્યમ કેરળના પલક્કડ જિલ્લાના એક ગામના વતની છે. તેમનો પરિવાર સંગીત સાથે જોડાયેલો છે. જોકે તેણે IIAમાંથી ભૌતિકશાસ્ત્રમાં પીએચડી કર્યું હતું. આદિત્ય એલ-1 મિશનમાં રોકાયેલ VELCની ડિઝાઇન તેમના નેતૃત્વ હેઠળ તૈયાર કરવામાં આવી છે. આ એક કોરોનાગ્રાફ છે જે સૂર્યગ્રહણ દરમિયાન પણ સૂર્યને જોતો રહેશે. આ મિશન દ્વારા પ્રથમ વખત આપણે સૂર્યની અંદર ડોકિયું કરી શકીશું.

Share: