મહારાષ્ટ્ર સીએમ ઉધ્ધવ ઠાકરે અને પીએમ મોદી વચ્ચે મુલાકાત, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા

મહારાષ્ટ્ર સીએમ ઉધ્ધવ ઠાકરે અને પીએમ મોદી વચ્ચે મુલાકાત, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા

નવી દિલ્હી,તા.8 જૂન 2021,મંગળવાર

મહારાષ્ટ્રના સીએમ ઉધ્ધવ ઠાકરે અને પીએમ મોદી વચ્ચે વડાપ્રધાનના નિવાસ સ્થાન ખાતે મુલાકાત થઈ હતી. આ બેઠક બાદ ઉધ્ધવ ઠાકરેએ કહ્યુ હતુ કે, પીએમ મોદીએ અમારી વાતોને ગંભીરતાથી સાંભળી હતી. મરાઠા અનામત, જીએસટી સહિતના મુદ્દાઓ પર આ બેઠકમાં ચર્ચા થઈ છે.

પીએમ મોદી અને ઉધ્ધવ ઠાકરેની આ મુલાકાત મહત્વની મનાય છે. મુખ્યમંત્રી બન્યા બાદ બીજી વખત ઠાકરે પીએમ મોદીને મળવા માટે પહોંચ્યા છે. ઉધ્ધવ ઠાકરે સાથે ડેપ્યુટી સીએમ અજીત પવાર અને મંત્રી અશોક ચવ્હાણ પણ હાજર હતા. ઉધ્ધવ ઠાકરેએ કહ્યુ હતુ કે, કુલ મળીને 12 મુ્દ્દા પર અમારી વાત થઈ છે. જેમાં મેટ્રો શેડ, ખેતીના વીમા અને વાવાઝોડાથી થયેલા નુકસાનના મુદ્દા પણ સામેલ છે.

ઠાકરે સરકારના મંત્રી અશોક ચવ્હાણે કહ્યુ હતુ કે, મરાઠા અનામતના મુદ્દે કેન્દ્ર સરકારે આગળ આવવુ જોઈએ. કારણકે અનામતના મામલે રાજ્ય કરતા કેન્દ્ર પાસે વધારે સત્તા છે. અનામતનો મુદ્દો માત્ર મહારાષ્ટ્રમાં નહીં પણ આખા દેશમાં છે. સાથે સાથે મહારાષ્ટ્રને જીએસટીનો 24000 કરોડનો હિસ્સો મળવાનો બાકી છે. આ માટે અમે કેન્દ્ર સરકારને અપીલ કરી છે.

જોકે આ મુલાકાત બાદ રાજકીય અટકળો થવી સ્વભાવિક છે. કારણકે છેલ્લા કેટલાક સમયથી વિપક્ષી પાર્ટીઓ પીએમ મોદી સામે એકત્રિત થઈ રહી છે તે જોતા આ મુલાકાત મહત્વની મનાય છે. ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ઉધ્ધવ ઠાકેરેએ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. આ સમયે તેમના પુત્ર પણ તેમની સાથે હતા.

Share: