મહારાષ્ટ્ર : આજે સાંજે 8:30 મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું સંબોધન, 15 દિવસના લોકડાઉનની શક્યતા

મહારાષ્ટ્ર : આજે સાંજે 8:30  મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું સંબોધન, 15 દિવસના લોકડાઉનની શક્યતા

મુંબઇ, તા. 13 એપ્રિલ 2021, મંગળવાર

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. ગઇકાલે મહારાષ્ટ્રમાં 51751 નવા કેસ નોંધાયા છે અને 258 લોકોના મોત થયા છે. આ બધા વચ્ચે છેલ્લા થોડા દિવસોથી મહારાષ્ટ્રમાં લોકડાઉનનું જોખમ તોળાઇ રહ્યું છે. ઉદ્ધવ ઠાકરેએ પણ કહ્યું છએ કે હવે લોકડાઉન સિવાય કોઇ વિકલ્પ દેખાતો નથી. આ સિવાય ગઇકાલે મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ પણ કહ્યું કે મહારાષ્ટ્રમાં લોકડાઉન લાગુ થશે અને તેની તૈયારી ચાલી રહી છે.

તેવામાં મહારાષ્ટ્રમાં કોરોના વાયરસની બીજી લહેરને રોકવા માટે હવે લોકડાઉન લગભગ નક્કી લાગી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્રમાં ફરી વખત 15 દિવસ કે 21 દિવસનું લોકડાઉન લાગી શકે છે. આજે સાંજે ઉદ્ધવ સરકાર આ નિર્ણયની ઘોષણા કરી શકે છે.

આજે સાંજે મબારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સોશિયલ મીડિયાના માધ્યમથી સંબોધન કરે તેવી શક્યતા છે. જેમાં તેઓ લોકડાઉનની ઘોષણા કરી શકે છે. જો કે આ લોકડાઉન ગયા વર્ષ જેવું નહીં હોય. તેના માટે એસઓપી તૈયાર કરવામાં આવી છે. મહારાષ્ટ્રના મંત્રી અસલમ શેખે જણાવ્યું કે લોકડાઉન તરત લાગુ નહીં થાય. સાથે જ તેમણે જણાવ્યું કે કોરોનાનો કહેર જોતા હોસ્પિટલોમાં બેડની સંખ્યા પણ વધારવામાં આવી છે. 

લોકડાઉનના ભણકારા વાગતા લોકોમાં અફરા તફરી મચી છે. લોકો ખરીદી કરવા માટે પડાપડી કરી રહ્યા છે. લોકો રેશન અને દુકાનો બહાર લાંબી લાઇનોમાં ઉભા દેખાયા છે. તો આ તરફ લોકડાઉનની આશંકા વચ્ચે મહારાષ્ટ્રમાંથી પ્રવાસી મજૂરો પણ પલાયન કરી રહ્યાછે. ખાસ કરીને ઉત્તરપ્રદેશ અને બિહારની ટ્રેનોમાં ભીડ જોવા મળી રહી છે.

Share: