મહારાષ્ટ્રની મહા વિકાસ અઘાડી સરકારમાં આંતરકલહ વધ્યો, શરદ પવારે CM ઉદ્ધવ ઠાકરે સાથે કરી મુલાકાત

મહારાષ્ટ્રની મહા વિકાસ અઘાડી સરકારમાં આંતરકલહ વધ્યો, શરદ પવારે CM ઉદ્ધવ ઠાકરે સાથે કરી મુલાકાત

મુંબઇ, 29 જુન 2021 મંગળવાર

શું મહારાષ્ટ્રની મહા વિકાસ અઘાડી સરકાર હેઠળ બધુ બરાબર ચાલી રહ્યું છે? સરકારમાં સામેલ કોંગ્રેસ પક્ષના કેટલાક નેતાઓનાં નિવેદનો બાદ તાજેતરનાં દિવસોમાં ઘણા રાજકીય વિશ્લેષકો માને છે કે કદાચ રાજ્યની મહા વિકાસ અઘાડી સરકારમાં બધુ બરાબર નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે પડદા પાછળ કંઈક કે બીજું જ ચાલે છે.

દરમિયાન શિવસેનાનાં નેતા સંજય રાઉતને મળ્યાનાં માત્ર એક દિવસ બાદ મંગળવારે એનસીપી નેતા શરદ પવાર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મળવા તેમના વર્ષા બંગલા પર પહોંચ્યા છે. મુખ્ય પ્રધાનનાં વર્ષા બંગલામાં ગૃહમંત્રી દિલીપ વલસે પાટિલ, કેબિનેટ મંત્રી જિતેન્દ્ર અહવાદ અને કેટલાક અન્ય પ્રધાનો પણ હાજર છે.

અગાઉ શરદ પવાર અને અમિત શાહ વચ્ચે અમદાવાદમાં બેઠક થઈ હતી, ત્યારબાદ એવું કહેવાતું હતું કે એનસીપી અને ભાજપ એક બીજાની નજીક આવી રહ્યા છે. એ જ રીતે, જ્યારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે શિવસેના અને ભાજપ વચ્ચેનું અંતર દુર થવા લાગ્યું છે. તાજેતરમાં સંજય રાઉતે એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં એમ પણ કહ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રનાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે વચ્ચે મજબૂત સંબંધ છે.

સોમવારે શિવસેનાનાં નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને એનસીપી નેતા શરદ પવાર સાથે અલગથી મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી સાથે સંજય રાઉતની બેઠક તેમના સત્તાવાર નિવાસસ્થાન ‘વર્ષા’ બંગલામાં લગભગ બે કલાક સુધી ચાલી હતી. જ્યારે સંજય રાઉત શરદ પવારને તેમના નિવાસસ્થાને મળ્યા હતા.

Share: