ભારતની કોવિશિલ્ડ રસીને આઠ યુરોપિયન દેશોએ મંજૂરી આપી, ભારતના આકરા વલણ સામે ઝુકવુ પડ્યુ

ભારતની કોવિશિલ્ડ રસીને આઠ યુરોપિયન દેશોએ મંજૂરી આપી, ભારતના આકરા વલણ સામે ઝુકવુ પડ્યુ

નવી દિલ્હી,તા.1 જુલાઈ 2021,ગુરૂવાર

કોરોના વાયરસનુ જોર ઓછુ થયા બાદ યુરોપ જવા માંગતા ભારતીયો માટે ઉભુ થયેલુ રસીનુ સંકટ હવે ખતમ થતુ દેખાઈ રહ્યુ છે.

યુરોપિયન યુનિયનના સાત દેશો તેમજ સ્વિટ્ઝરલેન્ડ દ્વારા ભારતીય રસી કોવિશિલ્ડને માન્યતા આપવામાં આવી છે. આ પહેલા યુરોપિયન યુનિયનના દેશોએ ભારતની વેક્સીન કોવિશિલ્ડ લગાવનારા ભારતીયોને ગ્રીન પાસ નહીં આપવાનુ એલાન કર્યુ હતુ. જોકે એ પછી ભારત સરકારે આ મામલામાં આક્રમક વલણ અપનાવ્યુ હતુ અને ચીમકી આપી હતી કે, જો ભારતીય રસીને યુરોપના દેશો માન્યતા નહીં આપે તો વળતી કાર્યવાહીના ભાગરૂપે ભારત દ્વારા પણ યુરોપના દેશોમાંથી આવતા લોકોને 14 દિવસ માટે ક્વોરેન્ટાઈન થવાનો નિયમ બનાવવામાં આવશે.

જોકે હવે જર્મની સહિતના યુરોપના સાત દેશોએ ભારતની કોવિશિલ્ડ રસીને માન્યતા આપી દીધી છે. યુરોપ દ્વારા કોરોનાની મહામારી વચ્ચે ગ્રીન પાસ યોજના આજથી લાગુ કરાઈ છે. આ હેઠળ બહારથી આવતા લોકોને યુરોપમાં વિવિધ દેશોમાં ફરવા માટે છુટ આપવામાં આવશે.

અગાઉ યુરોપીય મેડિસિન એજન્સીએ ભારતીયોને લગાવવામાં આવતી કોવિશિલ્ડ રસીને મંજૂરી આપવાની ના પાડી દીધી હતી. એજન્સીને તેની ગુણવત્તા અંગે ક્ષમતા હતી. જો આ રસીને મંજૂરી ના મળે તો રસી મુકાવનારા ભારતીયો માટે યુરોપમાં પ્રવેશ મુશ્કેલ બને તેમ હતો પણ ભારત સરકારે આકરૂ વલણ અપનાવ્યા બાદ યુરોપિયન દેશોને ઝુકવુ પડ્યુ. 

Share: