ભાજપ સામે વિપક્ષોનો રાષ્ટ્રિય મોરચો બનાવવાની હિલચાલ, 15 પાર્ટીઓ સાથે શરદ પવાર બેઠક કરશે

ભાજપ સામે વિપક્ષોનો રાષ્ટ્રિય મોરચો બનાવવાની હિલચાલ, 15 પાર્ટીઓ સાથે શરદ પવાર બેઠક કરશે

નવી દિલ્હી,તા.21 જૂન 2021,સોમવાર

રાષ્ટ્રવાદી કોંગ્રેસ એટલે કે એનસીપીના અધ્યક્ષ શરદ પવારે બહુ ટુંકા સમયગાળામાં બીજી વખત આજે પ્રશાંત કિશોર સાથે મુલાકાત કરી છે અને એ પછી પવારે આવતીકાલે, મંગળવારે વિપક્ષી પાર્ટીઓની બેઠક બોલાવી છે. આ બેઠક શરદ પવારના દિલ્હી સ્થિત નિવાસ સ્થાને મળશે.

આ બેઠકમાં હાજર રહેવા માટે પંદર રાજકીય પાર્ટીઓને આમંત્રણ આપવામાં આવ્યુ છે. શરદ પવારની હિલચાલને ભાજપ સામે આગામી ચૂંટણીમાં વિરોધી પાર્ટીઓનો રાષ્ટ્રીય મોરચો બનાવવાની કવાયત તરીકે જોવામાં આવી રહી છે. આ પહેલા આજે સવારે શરદ પવારે દિલ્હીમાં પ્રશાંત કિશોર સાથે મુલાકાત કરી હતી.

એવુ કહેવાઈ રહ્યુ છે કે, શરદ પવારે ચૂંટણીની રણનીતિ બનાવવામાં એક્સપર્ટ એવા પ્રશાંત કિશોર સાથે મળીને ભાજપ સામે રાષ્ટ્રિય મોરચો બનાવવાનુ શરૂ કરી દીધુ છે. આ પહેલા પ્રશાંત કિશોરને શરદ પવાર મુંબઈ ખાતેના સિલ્વર ઓક નિવાસ સ્થાન પર મળ્યા હતા.

હવે આખા દેશની નજર આવતીકાલે મળનારી પંદર પાર્ટીઓની બેઠક પર હશે. બહુ લાંબા ગાળા પછી શરદ પવાર દિલ્હીમાં સક્રિય થયા છે. જોકે એનસીપી તરફથી આ બેઠકને અગાઉથી નક્કી થયેલો કાર્યક્રમ જ ગણાવાયો છે.

આ પહેલા શરદ પવાર મુંબઈમાં જ્યારે પ્રશાંત કિશોરને મળ્યા હતા ત્યારે પ્રશાંત કિશોરે તેમને ભાજપને હરાવવા માટે તમામ પાર્ટીઓનુ ગઠબંધન કરવાની સલાહ આપી હતી. હવે એ જ લાઈન પર શરદ પવાર કામ કરી રહ્યા હોય તેમ લાગે છે.

Share: