ભાજપ સરકારના અન્યાયી કાયદાઓના કારણે દેશ પર કોરોનાની આપત્તિ આવીઃ સપા સાંસદ

ભાજપ સરકારના અન્યાયી કાયદાઓના કારણે દેશ પર કોરોનાની આપત્તિ આવીઃ સપા સાંસદ

નવી દિલ્હી,તા.2 જુન 2021,બુધવાર

કોરોનાને લઈને સમાજવાદી પાર્ટીના એક સાંસદે આપેલુ નિવેદન આજકાલ સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બન્યુ છે.

મુરાબાદના સમાજવાદી પાર્ટીના સાંસદ ડોકટર એસ ટી હસનનુ કહેવુ છે કે, છેલ્લા સાત વર્ષમાં ભાજપે દેશને અન્યાય કર્યો છે અને તેના કારણે જ છેલ્લા 10 દિવસમાં બે મોટા વાવાઝોડા આવ્યા છે તથા કોરોનાની મહામારી ફેલાઈ છે. જેણે હજારો લોકોના જીવ લીધા છે. આ તમામ બાબતો ભાજપે દેશને કરેલા અન્યાયની નિશાની છે.

તેમણે કહ્યુ હતુ કે, દેશમાં છેલ્લા સાત વર્ષમાં ભાજપે એ પ્રકારના કાયદા બનાવ્યા છે જેનાથી શરિયત સાથે છેટછાડ થઈ છે. સાથે સાથે ભાજપે નાગરિકતા કાનૂન થકી મુસ્લિમોને નાગરિકતા નહીં આપવાનો આરોપ પણ તેમણે મુક્યો છે. હસને કહ્યુ હતુ કે, સરકારે લોકો સાથે કરેલા અન્યાયના કારણે કોરોનાનુ સંક્રમણ ફેલાયુ હતુ અને હજારો લોકોના જીવ ગયા છે.

તેમણે ત્યાં સુધી કહ્યુ હતુ કે, જ્યારે ધરતી પર ન્યાય નથી થતો ત્યારે ઉપરવાળો ન્યાય કરે છે. તેમણે ગંગા કિનારે મૃતદેહને દફનાવવાનો મુદ્દો ઉઠાવીને કહ્યુ હતુ કે, દેશમાં એવી તો કેવી સરકાર ચાલે છે કે જ્યાં નદીઓમાં મૃતદેહો વહી રહ્યા છે અને સ્મશાનોમાં લાકડા પણ ઓછા પડી રહ્યા છે. તેમણે ત્યાં સુધી કહ્યુ હતુ કે, આ સરકાર રહી તો આવનારા સમયમાં બીજી પણ આફતો દેશ સામે આવશે.

હસને આરોપ લગાવતા કહ્યુ હતુ કે, મુસ્લિમો સાથે ભાજપ સરકારે ભેદભાવ કર્યો છે અને આ પ્રકારના અન્યાયના કારણે દેશ પર આપત્તિઓ આવી છે.

જ્યારે તેમને સવાલ કરવામાં આવ્યો કે , જે આપત્તિઓ આવી છે તે કુદરતી છે ત્યારે હસને કહ્યુ હતુ કે, આ દેશમાં 99 ટકા લોકો ધર્મમાં માનનારા છે અને તેઓ એવુ માને છે કે, જે પણ દુનિયામાં થાય છે તે ઉપરવાળાની ઈચ્છાથી જ થાય છે.

Share: