ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાની ઉપસ્થિતિમાં પાર્ટીમાં જોડાશે દિગ્ગજ કોંગ્રેસી નેતા

ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાની ઉપસ્થિતિમાં પાર્ટીમાં જોડાશે દિગ્ગજ કોંગ્રેસી નેતા


– અગાઉ 2019માં પણ જિતિન પ્રસાદ કોંગ્રેસ છોડે છે તેવા સમાચાર સામે આવ્યા હતા

નવી દિલ્હી, તા. 09 જૂન, 2021, બુધવાર

દેશના રાજકારણમાં એક ભારે મોટી હલચલ થવા જઈ રહી છે. જાણવા મળ્યા મુજબ કોંગ્રેસના એક મોટા નેતા આજે પક્ષપલટો કરીને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાઈ શકે છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ આજે બપોરે કોંગ્રેસી નેતાને ભાજપની સદસ્યતા અપાવશે. જાણવા મળ્યા મુજબ ભાજપમાં જોડાનારા આ નેતાનું નામ જિતિન પ્રસાદ છે. 

કોંગ્રેસી નેતાના નામને લઈ સોશિયલ મીડિયામાં ભારે અટકળો થઈ રહી છે. ટ્વીટર પર મોટા ભાગના લોકો પૂર્વ કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદ આજે ભાજપમાં જોડાશે તેવું માને છે. તેને ભાજપના મિશન યુપી 2022ની શરૂઆત માનવામાં આવે છે. કેટલાક લોકોના મતે જિતિન પ્રસાદ બ્રાહ્મણ નેતા છે અને તેમને પક્ષમાં લઈને ભાજપ બ્રાહ્મણોને મેસેજ આપવા માંગે છે. 

જોકે હજુ સુધી જિતિન પ્રસાદ તરફથી કોઈ નિવેદન સામે નથી આવ્યું પરંતુ તેઓ કોંગ્રેસના પ્રદેશ નેતૃત્વથી નાારજ હતા તેવું સામે આવ્યું છે. અગાઉ 2019માં પણ જિતિન પ્રસાદ કોંગ્રેસ છોડે છે તેવા સમાચાર સામે આવ્યા હતા. જોકે થોડા દિવસ બાદ જિતિન પ્રસાદ પોતે જ સામે આવ્યા હતા અને ‘હું કાલ્પનિક સવાલોનો જવાબ નથી આપતો’ તેવું નિવેદન આપ્યું હતું. 

જિતિન પ્રસાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના અંગત ગણાય છે. અગાઉ રાહુલ ગાંધીના સૌથી નજીકના ગણાતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભાજપનો છેડો પકડ્યો હતો. ત્યાર બાદ ભાજપે સિંધિયાને રાજ્યસભા મોકલ્યા હતા. હવે સિંધિયાના સમર્થકો તેમને કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ કરવા અનેક દિવસોથી માંગણી કરી રહ્યા છે. 

Share: