બીનજરૂરી હરિફાઈથી તબાહ થઈ જશે ભારત, ચીનના સરકારી અખબારને લાગ્યા મરચા

બીનજરૂરી હરિફાઈથી તબાહ થઈ જશે ભારત, ચીનના સરકારી અખબારને લાગ્યા મરચા

નવી દિલ્હી,તા.30 જૂન 2021,બુધવાર

ચીન સાથેની લદ્દાખથી લઈને અરૂણાચલ પ્રદેશની બોર્ડર સુધી ભારતે વધારાના 50000 સૈનિકોની તૈનાતી કર્યા બાદ ચીનનુ સરકારી અખબાર ભડકી ઉઠયુ છે.

ચીનના સરકારી અખબારે ધમકી આપી છે કે, ભારત જો પશ્ચિમ દેશોના ઈશારે ચીન સાથે બીનજરૂરી સ્પર્ધામાં ઉતરશે તો બરબાદ થઈ જશે. અખબારે સલાહ આપી છે કે, ચીન અને ભારતે એક બીજાની તાકાતનો ઉપયોગ કરવો જોઈએ.

અખબારને તાજેતરમાં ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે લદ્દાખની મુલાકાત લીધી હતી તેના પર પણ મરચા લાગ્યા છે. અખબાર ગ્લોબલ ટાઈમ્સે કહ્યુ છે કે, ભારત અને ચીન વચ્ચેના તનાવને દુર કરવા માટે આ પ્રકારની મુલાકાતથી કોઈ મદ નહી મળે. રાજનાથસિંહની યાત્રા ભારતના આકરા વલણને દર્શાવે છે. જોકે તેનાથી ફાયદો નહીં થાય.ભારતને ચીન સાથે સૈન્ય સંઘર્ષમાં ઉતરીને કોઈ ફાયદો થવાનો નતી. કારણકે ચીનની આર્મી સામે ભારતની આર્મી નબળી છે.

અખબારના અહેવાલમાં કહેવાયુ છે કે, ચીન સાથે સંયમ રાખવો ભરાતના હિતમાં છે. કોરોનાના કાળમાં પણ ચીનની ઈકોનોમી ઉછાળા મારી રહી છે. જ્યારે ભારતની ઈકોનોમી સૌથી ખરાબ દેખાવ કરી રહી છે. લાંબા ગાળે ભારત અને ચીને એક બીજાના વિકાસમાં સહયોગ કરવાની રણનીતિ અપનાવવી જોઈએ.

અખબારે દાવો કર્યો છે કે, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા ભારતને ક્વાડમાં સામેલ કરવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. આ દેશો ભારત અને ચીન વચ્ચે સ્પર્ધા કરાવવા માટે કોશિશ કરી રહ્યા છે. જેથી લાંબા ગાળે બંને દેશને નુકસાન થાય. આમ અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા એક કાંકરે બે પક્ષીનો શિકાર કરવા માંગે છે. પણ ભારત જો આ દેશોના દબાણમાં બીનજરૂરી હરિફાઈ શરૂ કરશે તો ભારત માટે તે દુસ્વપ્ન સમાન સાબિત થશે.

ઉલ્લેખનીય છે કે, ભારતે હવે ચીન સીમા પર કુલ મળીને બે લાખ સૈનિકો ખડકી દીધા છે. જે ગયા વર્ષ કરતા 40 ટકા વધારે છે. ભારત પણ ચીન સામે હવે આક્રમક રણનીતિ અપનાવવા માંગે છે તેવુ કેટલાક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે.

Share: