બાળકો માટે કોરોના વેક્સિનઃ ભારત બાયોટેકને મળી 2થી 18 વર્ષની ઉંમરના મનુષ્ય પર ટ્રાયલની મંજૂરી

બાળકો માટે કોરોના વેક્સિનઃ ભારત બાયોટેકને મળી 2થી 18 વર્ષની ઉંમરના મનુષ્ય પર ટ્રાયલની મંજૂરી


– દિલ્હી એઈમ્સ, પટના એઈમ્સ, નાગપુરની મિમ્સ હોસ્પિટલમાં યોજાનારી આ ક્લીનિકલ ટ્રાયલમાં 525 લોકોને સામેલ કરાશે

નવી દિલ્હી, તા. 12 મે, 2021, બુધવાર

ભારત હાલ કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે. આ સાથે જ વેક્સિનેશનનું કામ પણ ચાલી રહ્યું છે. નિષ્ણાતોને એવી શંકા છે કે જો કોરોનાની ત્રીજી લહેર આવશે તો તેમાં બાળકો પણ પ્રભાવિત થશે. તેના અનુસંધાને એક ખૂબ જ મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. કોરોના વેક્સિન સાથે સંકળાયેલી સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી (SEC)એ મંગળવારે ભારત બાયોટેકની કોવેક્સિનની 2થી 18 વર્ષની ઉંમરના બાળકો પર ટ્રાયલ માટે ભલામણ કરી હતી જેને મંજૂરી મળી ગઈ છે.

દિલ્હી એઈમ્સ, પટના એઈમ્સ, નાગપુરની મિમ્સ હોસ્પિટલમાં યોજાનારી આ ક્લીનિકલ ટ્રાયલમાં 525 લોકોને સામેલ કરવામાં આવશે. કમિટીની ભલામણ પ્રમાણે ભારત બાયોટેકે ફેઝ 3ની ટ્રાયલ શરૂ કરતા પહેલા ફેઝ 2નો સંપૂર્ણ ડેટા ઉપલબ્ધ કરાવવો પડશે. 

SECએ ભલામણ કરી હતી કે, ભારત બાયોટેકની કોવેક્સિનને ફેઝ 2, ફેઝ 3 ક્લીનિકલ ટ્રાયલની મંજૂરી અપાવી જોઈએ જેમાં 2થી 18 વર્ષની ઉંમરના બાળકોને સામેલ કરવામાં આવે. 

ઉલ્લેખનીય છે કે, ભારતમાં હાલ જે 2 વેક્સિનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે ફક્ત 18 વર્ષથી વધારે ઉંમરના લોકો માટે જ છે. ભારતના નાગરિકોને સીરમ ઈન્સ્ટિટ્યુટની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિન અપાઈ રહી છે. 

Share: