ફરી કોરોના વકર્યો કે શું? ગુજરાતના આ ગામમાં લાદી દેવાયું 7 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન

ફરી કોરોના વકર્યો કે શું? ગુજરાતના આ ગામમાં લાદી દેવાયું 7 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન

અમદાવાદ, તા. 18 ફેબ્રુઆરી 2021, ગુરૂવાર

ગુજરાતમાં કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. જોકે, કોરોના હજી ગયો નથી, સંક્રમણ હજી પણ યથાવત જ છે. દરમિયાન રાજ્યના એક શહેરમાં ગામના લોકો સાત દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે.

આ અંગે મળતી માહિતી અનુસાર આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ત્રણ હજારની વસ્તી ધરાવતા ડેમોલ ગામે 20 લોકો કોરોના પોઝિટિવ આવ્યાં છે. જ્યારે 90 લોકોના પરિવારને હોમ ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યો છે. ફેબ્રુઆરીની નવમી તારીખે ગામના 90 લોકો આબુ અને અંબાજી ફરવા ગયા હતાં. ત્યાર બાદ 17 તારીખથી ગામમાં સ્વયંભૂ સાત દિવસ માટે લોકડાઉન જાહેર કરાયું હતું. 

રાજ્યમાં કોરોનાના નવા કેસ દિવસેને દિવસે ઘટી રહ્યાં છે. આજે ગુરૂવારના રોજ કોવિડ 19 ના નવા 253 પોઝિટિવ કેસ નોંધાયા છે તથા 270 દર્દીઓ કોરોના સામેની જંગ જીતી ગયા છે. અત્યાર સુધીમાં 2,60,198 દર્દીઓ કોરોનાને મ્હાત આપી દીધી છે, જ્યારે રાજ્યમાં સાજા થવાનો દર 97.71 ટકાએ પહોંચ્યો છે. હાલમાં કુલ 1696 કેસ એક્ટિવ છે કે જેમાંથી 31 વેન્ટીલેટર પર છે અને 1665 સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 4403 લોકો કોરોના વાયરસના કારણે મૃત્યુ પામ્યા છે.

રાજ્યના આજે કુલ 336 કેન્દ્રો પરથી 3028 વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી છે. આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 9,08,658 વ્યક્તિઓનું રસીકરણ પુર્ણ થયું છે.

Share: