પેટ્રોલના ભાવમાં ભડકો, નાણા મંત્રીએ સ્વીકાર્યુ કે આ એક ગંભીર મુદ્દો છે

પેટ્રોલના ભાવમાં ભડકો, નાણા મંત્રીએ સ્વીકાર્યુ કે આ એક ગંભીર મુદ્દો છે

નવી દિલ્હી, તા. 20 ફેબ્રુઆરી 2021, શનિવાર

દેશમાં પેટ્રોલના ભાવમાં થઈ રહેલા વધારાથી લોકો પરેશાન છે અને મોદી સરકાર પર વિપક્ષોના હુમલા પણ આ મુદ્દાને લઈને ઉગ્ર બનીર હ્યા છે. હવે નાણા મંત્રી નિર્મલા સિતારમને તેના પર નિવેદન આપ્યુ છે.તેમણે કહ્યુ હતુ કે, આ એક ગંભીર અને મહત્વનો મુદ્દો છે.આ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ચર્ચા કરવી પડશે અને યોગ્ય ભાવ પર લોકોને પેટ્રોલ મળે તે માટે સમાધાન કરવુ પડશે.

તેમણે કહ્યુ હતુ કે, આ એવો મુદ્દો છે જેમાં ભાવ ઘટાડ્યા વગરનો બીજો કોઈ પણ જવાબ લોકોને ગળે નહીં ઉતરે.એટલે હું કશું પણ કહીંશ તો લોકો કહેવાના છે કે હું જવાબ આપવાથી બચી રહી છું.એટલે જ મેં કહ્યુ કે આ એક ગંભીર મુદ્દો છે.સરકારનુ પેટ્રોલની કિંમતો પર કોઈ નિયંત્રણ નથી.તેલ કંપનીઓ ક્રુડ ઓઈલની આયાત કરે છે અને તેનુ વિતરણ કરે છે.આ એક મોટુ ધર્મ સંકટ છે.

દરમિયાન પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે પણ વદારો થયો છે.પેટ્રોલની કિંમતમાં આજે પ્રતિ લિટર 38 થી 39 પૈસા અને ડીઝલની કિંમતમાં પ્રતિ લિટર 37 થી 39 પૈસાનો વધારો થયો છે.મુંબઈમાં તો પેટ્રોલની કિંમત 97 રુપિયા પ્રતિ લિટર પહોંચી ચુકી છે.રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં કેટલીક જગ્યાઓ તો એવી છે જ્યાં પ્રિમિયમ પેટ્રોલ સેન્ચુરી ફટકારી ચુક્યુ છે.

Share: