પુડ્ડુચેરીમાં કોંગ્રેસે સરકાર ગુમાવી : દક્ષિણ ભારતમાં પંજાનો સફાયો

પુડ્ડુચેરીમાં કોંગ્રેસે સરકાર ગુમાવી : દક્ષિણ ભારતમાં પંજાનો સફાયો

માત્ર કોંગ્રેસ જ સત્તામાં હોય તેવા રાજસ્થાન, પંજાબ અને છત્તીસગઢ જ બચ્યા

નવી દિલ્હી, તા. 22 ફેબ્રૂઆરી, 2021, સોમવાર

પુડ્ડુચેરી વિધાનસભામાં કોંગ્રેસ બહુમત સાબિત કરવામાં નિષ્ફળ રહી છે. સોમવારે વિધાનસભાના સ્પીકરે જાહેરાત કરી કે સરકાર પાસે બહુમત નથી. જે બાદ મુખ્ય મંત્રી વી. નારાયણસામીએ ઉપરાજ્યપાલ તમિલિસાઇને પોતાનંુ રાજીનામુ સોપી દીધુ હતું.

વિધાનસભામાં કોંગ્રેસ પાસે તેના નવ ધારાસભ્યો ઉપરાંત બે ડીએમકેના અને એક અપક્ષ ધારાસભ્ય છે. જે મળી કુલ 11 ધારાસભ્યો અને એક સ્પીકર મળી 12નું સમર્થન છે. જ્યારે બહુમત માટે 14 ધારાસભ્યો હોવા જરૂરી છે. તેથી કોંગ્રેસે સરકાર ગુમાવી દીધી છે.  

રાજીનામુ આપ્યા બાદ નારાયણસામીએ કહ્યું હતું કે પૂર્વ ઉપરાજ્યપાલ કિરણ બેદી અને કેન્દ્ર સરકારે વિપક્ષિયો સાથે મળીને સરકાર ભંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. અમારી એક્તાને કારણે છેલ્લા પાંચ વર્ષથી સરકાર ચલાવી રહ્યા હતા. આ લોકશાહીની હત્યા છે.

પુડ્ડુચેરીમાં સત્તા ગુમાવ્યા બાદ હવે દેશમાં માત્ર કોંગ્રેસનું જ શાસન હોય તેવા પંજાબ, રાજસૃથાન અને છત્તીસગઢ રાજ્યો જ બચ્યા છે. જ્યારે અન્ય રાજ્યમાં ગઠબંધનથી સરકાર ચલાવવામાં આવી રહી છે. પુડ્ડુચેરીમાં સત્તા ગુમાવતાની સાથે જ હવે દક્ષિણ ભારતના એક પણ રાજ્યમાં કોંગ્રેસનું શાસન નથી રહ્યું. 

જોકે આ વર્ષે જ એપ્રીલ-મેમાં પુડ્ડુચેરીમા વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે. ડીએમકેના વડા એમ.કે. સ્ટાલિને પણ કહ્યું હતું કે વિપક્ષ ભાજપે ગંદી રમત કરીને સરકાર ભંગ કરાવી છે. સાથે તેમણે નારાયણસામીના વખાણ કર્યા હતા.

બીજી તરફ વિપક્ષના નેતા અને એનઆર કોંગ્રેસ ચીફ એન રંગાસ્વામીએ કહ્યું હતું કે હાલની સિૃથતિ પ્રમાણે અમારી સરકાર બનાવવાની કોઇ જ ઇચ્છા નથી અને આગામી પ્લાન ટૂંક સમયમાં તૈયાર કરાશે જે માટે બેઠક બોલાવવામાં આવી રહી છે. 

આ પહેલા ઉપરાજ્યપાલે સોમવારે સંસદમાં બહુમત પુરવાર કરવા માટે વિશેષ સત્ર બોલાવ્યું હતું. વિપક્ષે દાવો કર્યો હતો કે સરકાર બહુમતમાં ન હોવાથી વિશ્વાસમત પ્રક્રિયા હાથ ધરવી અનિવાર્ય હોવાથી સરકારને સમન્સ પાઠવવામાં આવે. અત્યાર સુધીમાં સરકાર સમર્થક છ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે.

હાલની સિૃથતિ પ્રમાણે કોંગ્રેસ પાસે નવ, ડીએમકે પાસે બે, ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસ પાસે સાત, એઆઇએડીએમકે પાસે ચાર, ભાજપ પાસે ત્રણ બેઠકો છે જ્યારે એક અપક્ષ ધારાસભ્ય છે. જે લોકોએ હાલમાં જ રાજીનામા આપ્યા તેમાં પૂર્વ મંત્રી એ. નમસ્સિયામ, મલ્લાદી ક્રિશ્ના રાવનો સમાવેશ થાય છે.

જોકે જ્યારે વિશ્વસમતની પ્રક્રિયા હાથ ધરાઇ રહી હતી ત્યારે કેન્દ્ર સરકાર પર પ્રહારો કરીને કોંગ્રેસના ધારાસભ્યોએ વોકઆઉટ કરી દીધો હતો અને બહુમત પુરવાર કરવામાં નિષ્ફળ રહ્યા હતા. જેને પગલે હવે પુડ્ડુચેરીમાં કોંગ્રેસની સરકાર નથી રહી અને આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી શકે છે. 

Share: