પશ્ચિમ બંગાળમાં હિંસાનો ભોગ બનેલા લોકો હજી રાહત છાવણીમાં રહે છે, રાજ્યપાલે મુલાકાત લીધી

પશ્ચિમ બંગાળમાં હિંસાનો ભોગ બનેલા લોકો હજી રાહત છાવણીમાં રહે છે, રાજ્યપાલે મુલાકાત લીધી

કલકત્તા,તા.14 મે 2021,શુક્રવાર

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ થયેલી હિંસાના કારણે ગભરાઈ ગયેલા સેંકડો લોકો આસામમાં જતા રહ્યા હતા.હજી પણ તેઓ શરણાર્થી તરીકે શિબિરમાં રહી રહ્યા છે.આજે બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે આસામ જઈને આ લોકોની મુલાકાત લીધી હતી અને પિડિતોને સાંત્વના આપી હતી.

રાજ્યપાલની મુલાકાત દરમિયાન એક વૃધ્ધ વ્યક્તિ તેમને ભેટીને રડવા પણ લાગ્યો હતો.એક ન્યૂઝ એજન્સીએ આ તસવીરો પણ શેર કરી છે.જેમાં જોવા મળી રહ્યુ છે કે, એક વૃધ્ધ વ્યક્તિ રાજ્યપાલને જે રીતે હિંસા કરવામાં આવી હતી તેનુ વર્ણન કરતા રડી પડે છે અને રાજ્યપાલને ભેટી પડે છે.દરમિયાન રાજ્યપાલ ધનખડે પિડિત પરિવારોને તમામ મદદ કરવાનો ભરોસો આપ્યો છે.

આસામમાં શરણાર્થી શિબિરમાં રહેતા લોકોએ કહ્યુ હતુ કે, બે મેના રોજ બંગાળની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ અમે બંગાળમાં અમારુ ઘર છોડવા માટે મજબૂર થયા હતા.તૃણમુલ કોંગ્રેસના ગુંડાઓએ અમારા ઘરમાં તોડફોડ કરી હતી.

આ પહેલા રાજ્યપાલ કૂચબિહારથી શિબિર સુધી સડક માર્ગે મુસાફરી કરીને પહોંચ્યા હતા અને તેમણે શિબિરમાં રહેતા લોકો સાથે વાતચીત કરી હતી.ઉલ્લેખનીય છે કે, ગુરુવારે જગદીપ ધનખડ હિંસાગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવામાટે કૂચ બિહાર ગયા હતા.જ્યાં તેમને ટીએમસીના કાર્યકરોએ કાળા ઝંડા બતાવ્યા હતા.રાજ્યપાલે કહ્યુ હતુ કે, દેશ એક તરફ કોરોના સામે ઝઝૂમી રહ્યો છે અને બીજી તરફ પશ્ચિમ બંગાળ કોરોના અને હિંસા એમ બેવડા પડકારોનો સામનો કરી રહ્યુ છે.ચૂંટણી પછી જે હિંસા થઈ રહી છે તેનુ કારણ એ છે કે, કેટલાક લોકોએ પોતાની મરજી પ્રમાણે વોટ આપવાનુ નક્કી કર્યુ હતુ.

દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનરજીએ રાજ્યપાલની મુલાકાતનો વિરોધ પણ કર્યો છે.તેમનુ કહેવુ છેકે, હિંસાથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈને રાજ્યપાલે નિયમોનુ ઉલ્લંઘન કર્યુ છે.જ્યારે રાજ્યપાલે તેનો જવાબ આપ્યો હતો કે, હું બંધારણ પ્રમાણે મારી ફરજ બજાવી રહ્યો છું.

Share: