પરમવીર સિંહની અરજી મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું- મામલો ગંભીર, તમે હાઈકોર્ટમાં જાઓ

પરમવીર સિંહની અરજી મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું- મામલો ગંભીર, તમે હાઈકોર્ટમાં જાઓ


– હાઈકોર્ટને આવતીકાલે કેસની સુનાવણી માટે નિર્દેશ આપવામાં આવે કારણ કે, સીસીટીવીના પુરાવા સામેલ છે

નવી દિલ્હી, તા. 24 માર્ચ, 2021, બુધવાર

સુપ્રીમ કોર્ટે આઈપીએસ અધિકારી પરમવીર સિંહને હાઈકોર્ટમાં અરજી કરવા કહ્યું છે. પરમવીર સિંહે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર પોલીસ દ્વારા ‘મની કલેક્શન સ્કીમ’ ચલાવવાનો આરોપ મુક્યો છે. જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ આર સુભાષ રેડ્ડીની બેચે આ કેસને ખૂબ જ ગંભીર ગણાવ્યો હતો અને હાઈકોર્ટમાં અરજી કરવા કહ્યું હતું. 

ત્યાર બાદ સિંહે સુપ્રીમ કોર્ટમાંથી પોતાની અરજી પાછી લઈ લીધી હતી અને પોતે હાઈકોર્ટ જશે તેમ કહ્યું હતું. જસ્ટિસ કૌલે કહ્યું કે, અરજીકર્તા કેટલાક આરોપ લગાવે છે અને મંત્રી પણ અમુક આરોપો લગાવે છે. તમારે હાઈકોર્ટ શા માટે ન જવું જોઈએ તે મને સમજાતું નથી. અમે સમજીએ છીએ કે, કેસ ગંભીર છે પરંતુ આર્ટિકલ 226ની શક્તિઓ ખૂબ જ વિસ્તૃત છે. રોહતગી કોર્ટને ભલામણ કરે છે કે, હાઈકોર્ટને આવતીકાલે કેસની સુનાવણી માટે નિર્દેશ આપવામાં આવે કારણ કે, સીસીટીવીના પુરાવા સામેલ છે. 

મુકેશ અંબાણીના ઘર પાસેથી વિસ્ફોટક સામગ્રી મળી આવી અને પોલીસ અધિકારી સચિન વાઝેની ધરપકડ કરવામાં આવી ત્યાર બાદ સિંહને મુંબઈના પોલીસ કમિશનરના પદેથી હટાવી લેવામાં આવ્યા હતા. અરજીમાં તેમણે હોમગાર્ડ ડીજીના પદ પર ટ્રાન્સફર આપવામાં આવી તેને પણ પડકાર્યું છે. 

Share: