દિલ્હીને દર મહિને 60 લાખ વેક્સિન ડોઝ આપો : અરવિંદ કેજરીવાલે કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીને પત્ર લખ્યો

દિલ્હીને દર મહિને 60 લાખ વેક્સિન ડોઝ આપો : અરવિંદ કેજરીવાલે કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીને પત્ર લખ્યો

રસીની કિંમત એક રાખવા માટે પણ માંગ કરી

નવી દિલ્હી, તા. 8 મે 2021, રવિવાર

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્રિય સવાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધનને કોરોના રસીને લઇને પત્ર લખ્યો છે. આ પત્રમાં કેજરીવાલે રસીકરણ માટે વધારે ડોઝ માંગ્યા છે. અરવિંદ કેજરીવાલે 18થી 45 વર્ષ વચ્ચેની ઉંમરના લોકોનો ડેટા કેન્દ્ર સરકારને આપીને રસીના ડોઝની માંગ કરી છે.

કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીને લખેલા પત્રમાં કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં 18-45 વર્ષ વચ્ચેના 92 લાખ લોકો છે. તમે સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા અને ભારત બાયોટેકને નિર્દેશ આપો કે મે અને જુલાઇ મહિના સુધીમાં દર મહિને 60 લાખ વેક્સિન ડોઝ દિલ્હીને સપ્લાય કરે. તેમણે કહ્યું કે 18-45 વર્ષ અને 45 વર્ષ કરતા વધારે ઉંમરવાળા લોકોને ધ્યાનમાં રાખીને દિલ્હીને દર મહિને 83 લાખ વેક્સિન ડોઝની જરુર પડશે. જેથી આવનારા 3 મહિનામાં રસીકરણ પુરુ થઇ શકે. 

અરવિંદ કેજરીવાલે કહ્યું અમે અત્યારે એક લાખ રસીના ડોઝ લગાવી રહ્યા છે, જેને વધારીને અમે ત્રણ લાખ કરવા જઇ રહ્યા છીએ. જેથી અમારી ક્ષમતા 90 લાખ ડોઝ પ્રતિ માસ લગાવવાની થઇ જશે. આ સિવાય કેજરીવાલે પત્રમાં રસીની કિંમતને લઇને પણ પોતાની વાત રાખી છે. તેમણે કહ્યું કે રસીની કિંમત એક હોવી જોઇએ, પછી તે કેન્દ્ર સરકાર ખરીદે, રાજ્ય સરકર ખરીદે કે ખાનગી હોસ્પિટલ.

અત્યારની સ્થિતિ પ્રમાણે વેક્સિન નિર્માતા ખાનગી હોસ્પિટલને પહેલા રસી આપવામાં આવશે કારણ કે ખાનગી હોસ્પિટલોને રસી આપવામાં ફાયદો વધારે છે. કારણ કે ખાનગી હોસ્પિટલોને સરકારની સરખામણીમાં મોંઘી ડોઝ મળશે. આ સિવાય અરવિંદ કેજરીવાલે કોવિન એપમાં સમસ્યાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે એપમાં સમસ્યા આવી રહી છે, જેના કારણે લોકોનો સમય વ્યર્થ રહ્યો છે.

Share: