દિલ્હીની જામા મસ્જિદ સહિત વક્ફની 123 મહત્ત્વની સંપત્તિની માલિકી પરત લેશે કેન્દ્ર સરકાર, નોટિસ ઈશ્યૂ

દિલ્હીની જામા મસ્જિદ સહિત વક્ફની 123 મહત્ત્વની સંપત્તિની માલિકી પરત લેશે કેન્દ્ર સરકાર, નોટિસ ઈશ્યૂ

image :  Twitter

કેન્દ્ર સરકારનું શહેરી વિકાસ મંત્રાલય દેશની રાજધાની દિલ્હી વક્ફ બોર્ડની 123 મિલકતો પાછી લેશે. તેમાં દિલ્હીની જામા મસ્જિદનું નામ પણ સામેલ છે. કેન્દ્ર સરકારે આ અંગે નોટિસ જાહેર કરી છે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની સરકાર દરમિયાન જામા મસ્જિદ વક્ફ બોર્ડને સોંપવામાં આવી હતી. હવે સરકારે દિલ્હીની 123 મહત્વની મિલકતો પરત લેવાનો નિર્ણય લીધો છે. 

લાલ કિલ્લા પાસે આવેલી જામા મસ્જિદ આ યાદીમાં સામેલ 

લાલ કિલ્લા પાસે આવેલી જામા મસ્જિદ આ યાદીમાં છે. ઉલ્લેખનીય છે કે વક્ફ બોર્ડે દિલ્હી હાઈકોર્ટમાં પણ અરજી દાખલ કરી હતી. પિટિશનમાં એવું કહેવામાં આવ્યું હતું કે, આ તમામ મિલકતોની તોડફોડ અને રિપેરિંગનું કામ અન્ય કોઈએ કરવું નહીં, પરંતુ હાઈકોર્ટે ગત મે મહિનામાં અરજી ફગાવી દીધી હતી.

દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષને પત્ર લખ્યો 

કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયે વકફ બોર્ડની 123 મિલકતો પરત લેવા માટે નોટિસ જારી કરી છે. દિલ્હીની પ્રખ્યાત જામા મસ્જિદ ઉપરાંત ઘણી મસ્જિદો, ઇદગાહ, દરગાહ અને કબ્રસ્તાનોના નામ પણ આ યાદીમાં સામેલ છે. મંત્રાલયે દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ અને આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય અમાનુતલ્લાહ ખાનને પત્ર લખીને આ નિર્ણયની જાણકારી આપી હતી.

યુપીએ સરકારે વકફને મિલકત આપી હતી

સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ) સરકાર દરમિયાન 2014માં વક્ફ બોર્ડને મિલકતો સોંપવામાં આવી હતી. તેમાંથી 61 જમીન અને વિકાસ કાર્યાલય (LNDO) ની માલિકીની હતી અને બાકીની 62 મિલકતો દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી (DDA) ની માલિકીની હતી. 2015માં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સરકારે કહ્યું હતું કે તે આ પ્રોપર્ટીના ટ્રાન્સફરની તપાસ કરશે.

Share: