તૌકતે બાદ વધુ એક વાવાઝોડુ ભારત પર ત્રાટકે તેવી સંભાવના

તૌકતે બાદ વધુ એક વાવાઝોડુ ભારત પર ત્રાટકે તેવી સંભાવના

નવી દિલ્હી,તા.19 મે 2021,બુઘવાર

ભારતમાં અને ખાસ કરીને મહારાષ્ટ્ર, ગોવા, કેરલ અને ગુજરાત પર ત્રાટકેલા તૌકતે વાવાઝોડાથી મચેલી તબાહીથી હજી તો આ રાજ્યોને કળ વળી નથી ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં વધુ એક વાવાઝોડુ ભારત પર ત્રાટકશે તેવી આગાહી કરી છે.

તૌકતેના કારણે ગુજરાતમાં 13 લોકોના મોત થયા છે. પીએમ મોદી ગુજરાતને થયેલા નુકસાનની જાણકારી મેળવવા માટે આજે ગુજરાતમાં છે અને મહારાષ્ટ્રમાં વાવાઝોડાના કારણે 6 લોકોના મોત થયા છે. હજી પણ વાવાઝોડા બાદ રાહત કામગીરી ચાલી રહી છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, 23 થી 25 મેની વચ્ચે એક વધુ વાવાઝોડુ યશ બંગાળની ખાડી સાથે ટકરાશે.આ વાવાઝોડુ સુંદરવન વિસ્તારમાં ટકરાશે અને શક્યતા એવી છે કે, ત્યાંથી તે બાંગ્લાદેશ તરફ ફંટાઈ જશે.આ વાવાઝોડાની દિશા અને ઝડપ અંગે હજી હવામાન ખાતુ નિશ્ચિત નથી પણ હવામાન વિભાગનુ કહેવુ છે કે, પૂર્વી મધ્ય ખાડી અને તેની આસપાસના વિસ્તારોમાં જે રીતે ડિપ્રેશન સર્જાયુ છે તે જોતા તે આ સપ્તાહના અંત સુધીમાં એક વાવાઝોડામાં ફેરવાઈ શકે છે.

આ સિવાય હવામાન વિભાગે 23મેના રોજ માછીમારીઓને દરિયામાં નહીં જવા માટે ચેતવણી આપી છે. અધિકારીઓના કહેવા પ્રમાણે ડિપ્રેશન જેવી સ્થિતિના કારણે કોલકાતા, દક્ષિણ તેમજ ઉત્તર 24 પરગણા સહિત પશ્ચિમ બંગાળના કાંઠા વિસ્તારોમાં તાપમાન વધી રહ્યુ છે. જેમાં હજી વધારો થવાની શક્યતા છે.

Share: