તૌકતેના કારણે તટીય વિસ્તારોમાં મચી રહી છે તબાહી, ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે તોફાન

તૌકતેના કારણે તટીય વિસ્તારોમાં મચી રહી છે તબાહી, ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે તોફાન


– વિવિધ રાજ્યોના તોફાનથી પ્રભાવિત વિસ્તારોમાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા

નવી દિલ્હી, તા. 17 મે, 2021, સોમવાર

 દેશના દક્ષિણ પશ્ચિમી રાજ્યો પર ચક્રવાતી વાવાઝોડું તૌકતે તબાહી મચાવી રહ્યું છે. કેરળ, કર્ણાટક અને ગોવામાં તબાહી મચાવ્યા બાદ તેની અસર મહારાષ્ટ્રમાં પણ દેખાઈ રહી છે. વાવાઝોડાના એલર્ટ વચ્ચે બીએમસીએ મુંબઈમાં બાંદ્રા-વર્લી સી લિંકને આગામી આદેશ સુધી બંધ કરી દીધો છે. પ્રશાસન અને રાજ્ય સરકાર દ્વારા લોકોને ઘરમાં રહેવાની વિનંતી કરવામાં આવી રહી છે. 

આ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. વિવિધ રાજ્યોના તોફાનથી પ્રભાવિત વિસ્તારોમાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે અને અનેક 100 ઝાડ ધરાશાયી થયા છે. આ ઉપરાંત અનેક ઘરોને પણ નુકસાન પહોંચ્યું છે. મહારાષ્ટ્રમાં પણ ઈમારતોને નુકસાન પહોંચ્યું છે. ગુજરાતના તટીય વિસ્તારોમાં સોમ અને મંગળવારે ભારે વરસાદની આશંકા છે. હોનારતનો સામનો કરવા માટે એનડીઆરએફની 50 ટીમ તૈનાત કરવામાં આવી છે. 

મુંબઈમાં ભારે પવન સાથે વરસાદ

મુંબઈમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. મુંબઈના વડાલામાં તૌકતે વાવાઝોડાની અસર દેખાવી શરૂ થઈ ગઈ છે અને ભારે પવન સાથે હળવો વરસાદ શરૂ થઈ ગયો છે. વાવાઝોડાના જોખમ વચ્ચે મુંબઈમાં 5 જગ્યાએ કામચલાઉ શેલ્ટર હોમ બનાવવામાં આવ્યા છે. પશ્ચિમી મુંબઈમાં એનડીઆરએફની 3 ટીમ અને પૂરથી બચવા માટે ફાયર બ્રિગેડની 6 ટીમો પણ તૈનાત કરવામાં આવી છે.

Share: