'તેજસ્વીને CM બનવામાં મદદ કરો, તમે દિલ્હી સંભાળો', LJPમાં ભંગાણ બાદ ચિરાગને રાજદ, કોંગ્રેસની ઓફર

'તેજસ્વીને CM બનવામાં મદદ કરો, તમે દિલ્હી સંભાળો', LJPમાં ભંગાણ બાદ ચિરાગને રાજદ, કોંગ્રેસની ઓફર


– ભાજપ અને જેડીયુને તેમની રાજકીય ઔકાત બતાવીએ, જો ચિરાગ છે તો કોંગ્રેસ મજબૂત બનશેઃ પ્રેમચંદ મિશ્રા

નવી દિલ્હી, તા. 15 જૂન, 2021, મંગળવાર

કોરોના સંકટનો સામનો કરી રહેલા બિહારમાં એક પછી એક રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે. લોક જનશક્તિ પાર્ટી (એલજેપી)માં ભંગાણ બાદ રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ ચિરાગ પાસવાન અલગ-અલગ થઈ ગયા છે. આ સંજોગોમાં વિપક્ષી પાર્ટીઓએ ચિરાગ પાસવાનને ઓફર આપવાનું શરૂ કરી દીધું છે. કોંગ્રેસ હોય કે પછી રાષ્ટ્રીય જનતા દળ, સૌ કોઈ ચિરાગને પોતાના સાથે જોડવાની વાત કરી રહ્યું છે. 

હકીકતે ચિરાગ પાસવાનને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) અને કોંગ્રેસ તરફથી ઓફર મળી રહી છે કે, વર્તમાન સ્થિતિમાં તે એનડીએથી અલગ થાય અને વિપક્ષનું પલડું મજબૂત કરવા સાથે આવી જાય. 

તેજસ્વીને CM બનાવશે ચિરાગઃ RJD નેતા

રાષ્ટ્રીય જનતા દળના ધારાસભ્ય ભાઈ બિરેન્દ્રના કહેવા પ્રમાણે બિહારની વર્તમાન રાજકીય પરિસ્થતિમાં ચિરાગ પાસવાન અને તેજસ્વી યાદવ એક સાથે હાથ મિલાવશે તે ખૂબ જ અનુકૂળ રહેશે. ભાઈ બિરેન્દ્રના મતે ચિરાગ પાસવાને તેજસ્વી યાદવને બિહારના મુખ્યમંત્રી બનવા મદદ કરવી જોઈએ અને તેમણે પાર્ટીનું દિલ્હીનું રાજકારણ સંભાળવું જોઈએ. 

કોંગ્રેસે પણ આપ્યું સાથે આવવા આમંત્રણ

રાષ્ટ્રીય જનતા દળ ઉપરાંત કોંગ્રેસે પણ ચિરાગ પાસવાનને ઓફર આપી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રેમચંદ મિશ્રાએ જણાવ્યું કે, વર્તમાન સ્થિતિમાં ચિરાગ કોંગ્રેસમાં સામેલ થઈ જાય અને વિપક્ષને મજબૂત બનાવે. ચિરાગ કોંગ્રેસ મહાગઠબંધનમાં જોડાય તે માટે આ સમય યોગ્ય છે. ભાજપ અને જેડીયુને તેમની રાજકીય ઔકાત બતાવીએ, જો ચિરાગ છે તો કોંગ્રેસ મજબૂત બનશે. 

Share: