ડેલ્ટા પ્લસ વેરિએન્ટના સંક્રમણને રોકવા કેન્દ્રિય આરોગ્ય સચિવે 8 રાજ્યોને લખ્યો પત્ર, આપી આ સુચના

ડેલ્ટા પ્લસ વેરિએન્ટના સંક્રમણને રોકવા કેન્દ્રિય આરોગ્ય સચિવે 8 રાજ્યોને લખ્યો પત્ર, આપી આ સુચના

નવી દિલ્હી, 25 જુન 2021 શુક્રવાર

કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના ફેલાવાને રોકવા માટે તમિળનાડુ, ગુજરાત સહિત 8 રાજ્યોને પત્ર લખીને સૂચનાઓ જારી કરી છે. કેન્દ્રિય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણએ પત્રમાં લખ્યું છે કે જે જિલ્લામાં વાયરસનો આ નવો વેરિયેન્ટ જોવા મળ્યો છે ત્યાં કોન્ટેક્ટ ટ્રેસિંગ, વધુમાં વધુ ટેસ્ટિંગ, ભીડ અટકાવવા અને અગ્રતા ધોરણે રસીકરણ જેવા પગલા લેવામાં આવે.

રાજેશ ભૂષણએ આ અંગે તામિલનાડુ, ગુજરાત, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક, પંજાબ, જમ્મુ અને કાશ્મીર હરિયાણાના મુખ્ય સચિવોને પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં લખ્યું છે કે, “INSACOG (ઇંન્ડિયન SARS-CoV-2 જેનોમિક્સ કન્સોર્ટિયમ) એ જાણ કરી છે કે ડેલ્ટા પ્લસ વેરિયેન્ટ ચિંતાજનક (VOC) છે. તે ખૂબ જ સંક્રામક છે અને ફેફસાના કોષોને મજબૂત રીતે ચોંટે છે. તે સાથે જ, તે મોનોક્લોનલ એન્ટિબોડીઝને પણ ઘટાડે છે.

INSACOG એ દેશની 10 લેબ્સનું એક સમુહ છે, જેની સ્થાપના ગયા વર્ષે 25 ડિસેમ્બરે સરકારે કરી હતી. ત્યારથી તે કોરોના વાયરસનું જિનોમ સિક્વિન્સિંગ કરી રહ્યું છે અને વાયરસનું વિશ્લેષણ કરે છે. જિનોમ સિક્વન્સીંગ ઉપરાંત, જ્યારે વાયરસના નવા સ્વરૂપો જોવા મળે છે, ત્યારે તેને રોકવા માટે ત્યાં કયાં પગલા લેવામાં આવે તે અંગે પણ સલાહ આપે છે.

કેન્દ્રીય આરોગ્ય સચિવે તેમના પત્રમાં લખ્યું છે કે આ મામલે જે પગલા લેવામાં આવશે તે વધુ કેન્દ્રિત અને કડક હોવા જોઈએ. તેમણે રાજ્યોને કોવિડથી ચેપગ્રસ્ત થયેલા લોકોનાં સેમ્પલ પૂરતા પ્રમાણમાં INSACOG હેઠળની લેબ્સમાં મોકલવા જણાવ્યું હતું જેથી ક્લિનિકલ રોગચાળા સંબંધી લિંક્સ સ્થાપિત થઈ શકે.

Share: